દાદરાનગર હવેલીની લોકસભા બેઠક માટે યોજાયેલી ચુંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરનો 50 હજાર કરતાં વધારે મતથી વિજય થયો છે. આ બેઠક જીતવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું પણ કામ લાગ્યું ન હતું.

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઇની એક હોટલમાં આપઘાત કરી લીધો હતો. તેમના આપઘાત પાછળ દીવ અને દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ જવાબદાર હોવાની પણ વાતો સામે આવી હતી જો કે આ બાબતે હજી તપાસ ચાલી રહી છે. બીજી તરફ મોહન ડેલકરના અવસાન બાદ ખાલી પડેલી બેઠક માટે ચુંટણી જાહેર થઇ હતી. જેમાં મૃતક મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરે શિવસેનામાંથી ઉમેદવારી નોંધાવી હતી જેની સામે ભાજપે મહેશ ગાંવિતને મેદાનમાં ઉતાર્યા હતાં. દાદરા નગર હવેલી બેઠક કબજે કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને આ બેઠકની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાત ભાજપના નેતાઓને પણ સહપ્રભારી બનાવાયાં હતાં. શિવસેનાએ પણ નેતાઓની ફોજ પ્રચારમાં ઉતારી હતી. આજે સેલવાસના કરાડ સ્થિત પોલીટેકનીક કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. મત ગણતરીની શરૂઆતથી જ કલાબેન ડેલકર તેમના હરીફ મહેશ ગાંવીત કરતાં આગળ રહયાં હતાં અંતે તેઓ 50 હજાર કરતાં વધારે મતથી વિજેતા થયાં છે.