Connect Gujarat
Featured

ગુજરાત: આર્થિક પુનઃ નિર્માણ તથા રાજકોકોષિય પૂર્વ ગઠન માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરાઇ

ગુજરાત: આર્થિક પુનઃ નિર્માણ તથા રાજકોકોષિય પૂર્વ ગઠન માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરાઇ
X

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે.

૬ સભ્યોની આ સમિતીમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે તેમાં વિજય રૂપાણીએ આ સમિતીમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ પ્રદિપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી શ્રી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. એમ. થેન્નારસનની નિયુકતી કરી છે.

ગુજરાત દેશના અર્થતંત્ર અને ઔદ્યોગિક ગતિવિધિનું એક મહત્વપૂર્ણ રાજ્ય તથા મેન્યૂફેકચરીંગ હબ છે ત્યારે કોવિડ-19ની આ મહામારીને પરિણામે રાજ્યની એ ગતિવિધિઓને વ્યાપક અસર પહોંચી છે.

મહામારીના સંકટથી રાજ્યના અર્થતંત્રની ડિમાન્ડ અને સપ્લાય ચેઇનને પણ વિપરીત અસર પડી છે. એટલું જ નહિ, MSME સેકટર સહિતના અન્ય ક્ષેત્રો પણ આ અસરનો ભોગ બનેલા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બધી જ બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે તે સ્થિતીને ધ્યાને લઇને અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓની સુધારણા માટેની ભલામણો સુચવવા આ ઉચ્ચસ્તરિય સમિતીની રચના કરેલી છે.

ઉચ્ચસ્તરીય સમિતી રાજ્યમાં સેકટરલ-સબ સેકટરલ આર્થિક નુકશાનનો અભ્યાસ કરીને સેકટર સ્પેસીફિક પૂર્નગઠન માટેના ઉપાયો-સૂઝાવો આપવાની છે.

મુખ્યમંત્રીએ રાજ્યના ઊદ્યોગ, વેપાર, ધંધા-રોજગારના ક્ષેત્રોને પૂન: ધબકતા કરવા તથા કોવિડ-19ના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન પૂર્વવત કરવાની દિશામાં સર્વગ્રાહી ચર્ચા-વિચારણા અને કાર્યયોજના માટે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં પરામર્શ કર્યો હતો.

સમિતીના અન્ય કાર્યક્ષેત્રોમાં જે બાબતોને આવરી લેવામાં આવી છે તેમાં રાજ્યની રાજકોષિય-ફિઝકલ અને અંદાજપત્રીય બજેટ સ્થિતીની સમીક્ષા અને તેના સુધારાત્મક પગલાંઓ સૂચવવાની બાબતનો પણ સમાવેશ કરાયો છે.

એટલું જ નહિ, કોવિડ-19 મહામારી પછીની ઉદભવનારી સ્થિતીમાં રાજકોષિય ખાધ-ફિઝકલ ડેફિસીટ અંદાજો અને વર્તમાન કર માળખાની પણ પૂર્નવિચારણા તેમજ પૂર્નગઠનની બાબતે પણ આ સમિતી ભલામણો કરશે.

એટલું જ નહિ, રાજ્યના અર્થતંત્રમાં આર્થિક અને રાજકોષિય સુધારણા રિવાઇવલ માટે ઇમીજીયેટ - ત્વરિત, મીડીયમ ટર્મ – ટૂંકાગાળાનો અને લોંગ ટર્મ – લાંબાગાળાનો સર્વગ્રાહી એકશન પ્લાન આ સમિતી તૈયાર કરી રહી છે.

ઉચ્ચસ્તરીય સમિતીની બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

Next Story