New Update
ભરૂચમાં અકસ્માતોની વણઝાર
વહાલુ ગામ નજીક 2 બાઈક ભટકાય
2 યુવાનોના કરુણ મોત
શેરપુરા ગામ નજીક મોપેડ સવાર યુવાનનું મોત
અંકલેશ્વરમાં પણ ટેન્કરની અડફેટે યુવકનું મોત
પોલીસે તપાસ હાથ ધરી
ભરૂચ જિલ્લામાં સોમવારનો દિવસ અકસ્માતોની વણઝાર લઈને આવ્યો હતો,જેમાં વહાલું ગામ નજીક બે બાઇક સામસામે ભટકાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા. તો બીજી તરફ શેરપુરા ગામ નજીક મોપેડને અજાણ્યા વાહને ટક્કર મારતા મોપેડ ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું,જ્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ ટેન્કરની અડફેટે એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું.
ભરૂચના વહાલું ગામ નજીક આજે બપોરના સમયે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.જેમાં આમોદ તાલુકાના કેસલુ ગામ ખાતે રહેતા ધવલ વિનુભાઈ પટેલ આજે સવારે બાળકોના ભરૂચ ખાતે પાઠ્યપુસ્તકો લેવા આવ્યા હતા,અને બપોરે બાળકોના પાઠ્યપુસ્તકો લઇ બાઈક લઈને પરત આમોદ પોતાના ઘરે જઈ રહ્યા હતા.આ દરમિયાન પાદરા તાલુકાના માસર ગામે મામાના ઘરેથી અંકલેશ્વર સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા કેતનભાઇ દિનેશભાઈ ચૌહાણ અને પત્ની મીતલબહેન બાઈક પર પરત આવી રહ્યા હતા.આ દરમિયાન તેઓની બાઇક સામસામે ભટકાઈ હતી.આ અકસ્માતમાં ધવલ પટેલ અને કેતન ચૌહાણને ગંભીર ઈજા પહોંચતા તેઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.જ્યારે કેતનભાઇની પત્ની મિતલને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા ભરૂચ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત અંકલેશ્વર જીઆઇડીસીમાં અકસ્માતમાં એક યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ્સ ચોકડીથી પ્રતિન ચોકડી ઓવરબ્રિજ વચ્ચે વોકહાર્ટ કંપની નજીક બેફામ દોડતા ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારી હતી.જેમાં બાઈક સવાર બંને યુવાનો માર્ગ પર પટકાયા હતા.આ અકસ્માતમાં એક યુવાન ટેન્કરના તોતિંગ ટાયર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
બનાવની જાણ થતાની સાથે જ જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનું શરીર તોતિંગ ટાયર નીચે ચગદાઈ જતા શરીરના અવયવો પણ બહાર આવી ગયા હતા.પોલીસે ભારે જહેમત બાદ મૃતદેહ ટાયર નીચેથી બહાર કાઢ્યો હતો.