અંકલેશ્વર શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ બન્યા ખખડધજ
માર્ગ પર ઠેર ઠેર ખાડા પાડવાથી પ્રજા બની છે ત્રસ્ત
બિસ્માર રસ્તાના કારણે અકસ્માતની ઘટનામાં વધારો
ખખડધજ રસ્તા મામલે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
દિવાળી બાદ રસ્તા સારા બનશે, પાલિકાની હૈયાધારણા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં બિસ્માર રસ્તાઓના મુદ્દે પ્રજા પરેશાન થઇ ઉઠી છે, ત્યારે ક્યારે સારા રસ્તાની સુવિધા મળશે તેની કાગડોળે જનતા રાહ જોઈ રહી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વરસાદી માહોલ જમ્યા બાદ શહેર વિસ્તારના લગભગ દરેક રસ્તાના ખસ્તા હાલ થઇ ગઈ છે, જ્યારે જીનવાલા સ્કૂલથી પીરામણ ગામ સુધી માર્ગનું મંથર ગતિએ સમારકામ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ, શહેરના સ્ટેશન વિસ્તારથી ટાંકી ફળિયા અને ઉકાઈ કોલોની સુધીનો માર્ગ પણ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.
જોકે, અંકલેશ્વર શહેરના વિવિધ રસ્તા પર પડેલા ખાડાઓના કારણે વારંવાર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તેવામાં પાલિકાતંત્ર દ્વારા લોકોને પડતી અગવડતા સામે ત્વરિત કાર્યવાહી કરી રસ્તા બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ મામલે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગાએ પણ રોષપૂર્વક નગરપાલિકા દ્વારા રસ્તા બનાવવા માટે માંગ કરી હતી.
અંકલેશ્વર શહેરમાં ખખડધજ બનેલા રસ્તાઓને મુદ્દે નગરપાલિકા દ્વારા અંદાજીત 1 કરોડના ખર્ચે રસ્તાની કામગીરી કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. જે કામગીરી વરસાદના કારણે મુલતવી રાખવામાં આવી હતી. જેનું કામ દિવાળી બાદ શરૂ કરવામાં આવશે તેમ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિત રાજપુરોહિતે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીરામણ ગામનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે. આ માર્ગ નગરપાલિકા બનાવશે કે, માર્ગ મકાન વિભાગ તે અંગે પણ પ્રજામાં અસમંજસની પરિસ્થિતિ જોવા મળી છે. આ માર્ગ પર હાલ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને રોડ-રસ્તાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. જ્યારે આ અંગે અંકલેશ્વર નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગનો સંપર્ક કરવામાં આવતા અધિકારીનો સંપર્ક થઇ શક્યો નહોતો. તો બીજી તરફ, અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી પિરામણ ગામને જોડતો માર્ગ પણ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, અને આ માર્ગ ક્યારે નવો બનશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.