-
છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની ઘટનામાં થયો સતત વધારો
-
ભરૂચ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં અકસ્માતની 2 ઘટના
-
અંકલેશ્વરના કોસમડી નજીક અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું
-
જંબુસરના પિલુદરા નજીક માર્ગ પર બાઇક સવાર યુવકનું મોત
-
અકસ્માતે મોતનો ગુન્હો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય
ભરૂચ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી અકસ્માતની 2 ઘટના સામે આવી છે. અંકલેશ્વરના કોસમડી નજીક ટ્રકની અડફેટે એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે જંબુસરના પિલુદરા નજીક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અંકલેશ્વરના વાલિયા રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કોસમડી નજીકથી પસાર થઈ રહેલા બાઈક સવાર દંપત્તિને હાઈવા ટ્રકના ચાલકે અડફેટમાં લીધા હતા, જ્યાં હાઈવાની ટક્કરે બાઈક સવાર દંપત્તિ સહિત બાળક રોડ પર પટકાયું હતું. જેમાં ગંભીર ઇજાના પગલે પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પતિ અને બાળકને ઇજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે અંકલેશ્વર GIDC પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજી તરફ, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાંથી પણ વધુ એક અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે. મળતી માહિતી અનુસાર, જંબુસર તાલુકાના કારેલી ગામમાં રહેતા સંજયકુમાર નટવરભાઈ પરમારને પિલુદરા ગામ નજીક અકસ્માત નડ્યો હતો. માર્ગ પર ઉત્તર બુનિયાદી સ્કૂલ પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં સંજય પરમારનું કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં વેડચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે ડોઈ આવ્યો હતો, જ્યાં પોલીસે મૃતદેહને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.