ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગનું મહત્વ સમજાવી જનતાને પાઠવી શુભેચ્છા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિવાસસ્થાને કર્યા યોગ, યોગ-પ્રાણાયામમાં તેમના ધર્મપત્ની અંજલી રૂપાણી જોડાયા.
21મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના નિવાસ સ્થાને યોગ અને પ્રાણાયામ કર્યા હતા, ત્યારે તેમની સાથે તેમના ધર્મપત્ની અંજલી રૂપાણી પણ જોડાયા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને શુભેચ્છાઓ પાઠવી યોગનું મહત્વ સમજાવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલી રૂપાણીએ ગાંધીનગરમાં પોતાના નિવાસ સ્થાને વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ અને પ્રાણાયામ કર્યા હતા. "હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત" થીમ ઉપર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા. 14 થી 20મી, જુન સુધી યોગ સપ્તાહનું આયોજન કરાયું છે, ત્યારે વિડીયો કોન્ફરન્સ થકી રાજ્યમાં દરેક જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રૂમ ખાતે હાજર રહેલા 20 જેટલા કોચ ટ્રેનરને જિલ્લા કક્ષાએથી પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં સંબંધિત જિલ્લા કલેક્ટર દ્વારા હાજરી આપી વિશ્વ યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યુ હતું કે, કોરોના મહામારીમાં યોગનું ઘણું મહત્વ સમજાયું છે, અને યોગ કોરોનાને મ્હાત આપશે તેવો પણ વિશ્વાસ છે, ત્યારે યોગ કરવાથી શરીર અને મન ખીલે છે. દિવસે દિવસે યોગનું મહત્વ વધી રહ્યું છે. રાજ્યમાં યોગ બોર્ડ દ્વારા યોગનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. જેમાં 5 હજારથી વધુ ટ્રેનર છે અને વધારે યોગ ક્લાસીસ પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. તો સાથે જ યોગ કરવાથી આપનું ગુજરાત દિવ્ય ગુજરાત બનશે તેવી ભાવના પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.