નર્મદા : ખોટા પ્રમાણપત્રો માટે કોંગ્રેસ-ભાજપ સહિતની તમામ પાર્ટીના લોકોનું લોબિંગ : સાંસદ મનસુખ વસાવા
રાજપીપળા ટાઉન ખાતે યોજાયું આદિવાસી એકતા સંમેલન, કોઇના પણ દબાણ નીચે નહીં આવવા માટે સાંસદની હાંકલ.
નર્મદા જિલ્લાના રાજપીપળા ટાઉન હોલ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં આદિવાસી એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પોતાના આદિવાસી સમાજને માત્ર સંગઠિત થવા અને પક્ષા-પક્ષીથી દૂર રહી કોઇના પણ દબાણ નીચે નહીં આવવા માટે સાંસદ દ્વારા હાંકલ કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લાના રાજપીપળા ટાઉન હોલ ખાતે આદિવાસી એકતા સંમેલનમાં ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે, કેટલાક આદિવાસી ધારાસભ્યો અને સાંસદ માત્ર ખાલી લેબલ લગાડવા માટે લોકસભામાં જાય છે. લોકસભા કે, વિધાનસભામાં કોઈ આદિવાસીનું સાંભળતું નથી. આ તકે સાંસદે જૂની યાદો તાજી કરતા કહ્યું હતું કે, લાલકૃષ્ણ અડવાણીએ અટલ બિહારી વાજપેયીને કહ્યું હતું કે, જોક કોઈ પ્રશ્ન હોય તો તે આદિવાસી સમાજના પ્રશ્નો છે. એ પ્રશ્નોનું નિવારણ લાવવું જોઈએ. આ સાથે જ સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી કહ્યું હતું કે, ખોટા પ્રમાણપત્રો માટે કોંગ્રેસ અને ભાજપ સહિતની તમામ પાર્ટીના લોકો લોબિંગ ચલાવે છે.
સાંસદ મનસુખ વસાવાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, મનસુખ વસાવા માથે કફન બાંધીને ફરે છે, અને સત્ય જ બોલે છે. કરોડો રૂપિયા આદિવાસી માટે વપરાયા છે, પણ લોકો સુધી પહોંચ્યા નથી. ભાજપ, કોંગ્રેસ કે, બિટીપીનો આગેવાન હોય તો સમાજના કાર્યક્રમમાં આવવું જોઈએ. નહીં કે, માલ-માલિદો ખાવો હોય, ત્યારે આગળ અને સમાજનું કામ કરવું હોય તો પાછળ રહેવું જોઈએ. કેટલાક ધારાસભ્યો અને સાંસદ સભ્યો રીઝર્વ સીટ પરથી ચૂંટાય છે તો, પણ સમાજ માટે હજુ બોલતા નથી. માત્ર પ્રોપર્ટી બનાવવામાંથી ઉંચા નથી આવતા અને સમાજનું કામ નથી કરતા એટલે દુઃખ થતું હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું.