નવસારી : આડા સબંધના વહેમમાં પત્નીને રહેંસી નાખનાર હત્યારો પતિ વારાણસીથી ઝડપાયો
નવસારી જિલ્લાના ચીખલીમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. જેમાં મહિલાની હત્યા કરનાર હત્યારો પતિ પોલીસના હાથે ઝડપાય ગયો છે. મળતી માહિતી અનુસાર, ગત તા. 2જી સપ્ટેમ્બરના રોજ ચીખલી તાલુકાના આલીપોર-અભેટા રોડ પરથી મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાની હત્યા કરી પ્લાસ્ટિકના કેનમાં સેલો ટેપ વડે પેક કરી દઈ મૃતદેહનો નિકાલ કર્યો હતો. હત્યાના બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જોકે, હત્યાના કેસમાં મહિલાના જ પતિનો હાથ હોવાનું પોલીસને માલૂમ પડતાં તેની અટકાયત કરવામાં આવી હતી. આડા સબંધના વહેમમાં પત્નીને રહેંસી નાંખી હોવાની હત્યારા પતિ ઇન્દ્રજીત ગૌતમે કબુલાત આપી હતી, ત્યારે હત્યારા પતિની વધુ પૂછપરછ કરતાં તેને પત્નીને સુરતથી યુ.પી. જવાનું કહીને કારમાં લઈ ગયો હતો, જ્યાં અન્ય 2 મિત્રોની પણ મદદ લઈ મિત્રોની જ કારમાં જતી વખતે મહિલાની હત્યા કરી સેલો ટેપ વડે મૃતદેહને પેક કરી તેનો નિકાલ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મમદથી કાર ચાલક સહિત અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી, ત્યારે મુખ્ય આરોપી પતિની ધરપકડ કરવા એક ટીમ યુ.પી. રવાના થયાં બાદ વારાણસીથી હત્યા પતિની પણ ધરપકડ કરવામાં આવી છે.