નવસારી : પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાય...
યુવાનો દ્વારા આદિવાસીઓની સંસ્કૃતિ અને અસ્મિતાના જતન માટે વર્ષ 1994માં તા. 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો હતો
નવસારી જિલ્લાના આદિવાસી બહુલ ધરાવતા વાંસદા પંથકમાં પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે આદિવાસીઓએ કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ભવ્ય રેલી કાઢી રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી.
યુવાનો દ્વારા આદિવાસીઓની સંસ્કૃતિ અને અસ્મિતાના જતન માટે વર્ષ 1994માં તા. 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો હતો, જેને આજે 29 વર્ષ પૂર્ણ થયા છે, અને આદિવાસીઓમાં આવેલી જાગૃતિના કારણે ગત થોડા વર્ષોમાં નવસારી જિલ્લામાં આદિવાસી સંગઠનો સાથે આગેવાનો ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે. આજે પણ આદિવાસી સંસ્કૃતિની અસ્મિતા, સંસ્કૃતિના સંવર્ધનના જતનાના સંદેશ સાથે નવસારી જિલ્લાના વાંસદા પંથકના કુકણા સમાજ ભવન ખાતેથી આદિવાસી પરંપરાગત વેશભૂષામાં સજ્જ સાંસ્કૃતિક વાજિંત્રોના નાદ અને તાલે નૃત્ય કરતા કરતા ભવ્ય રેલી કાઢી હતી. કોંગી ધારાસભ્ય અનંત પટેલ, આદિવાસી સમાજના પ્રમુખ ડૉ. પ્રદિપ ગરાસિયા સહિતના નેતાઓની આગેવાનીમાં ઉત્સાહ અને ઉમંગ સાથે આદિવસીઓ વાંસદાના રાજમાર્ગો પરથી નાચતા-કૂદતા ગાંધી મેદાન પહોંચ્યા હતા. આ પ્રસંગે વાંસદા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આદિવાસીઓ ઉપર થતા અત્યાચારને લઈને ધારાસભ્ય અનંત પટેલએ પોતાની નારાજગી દર્શાવી હતી. તાજેતરમાં મધ્યપ્રદેશ, મણીપુર જેવા રાજ્યોમાં આદિવાસી ભાઈ-બહેનો પર થતા અત્યાચારને લઈને ધારાસભ્યએ સરકારને આડે હાથ લીધી હતી. સરકાર આદિવાસીઓનું સાંભળતી ન હોવાના આક્ષેપો પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિરોધના ભાગરૂપે સમાજના ઘણા લોકોએ અડધા વસ્ત્રો પહેરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.