Connect Gujarat
ગુજરાત

સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, 88 વર્ષની વયે જીવનલીલા સંકેલી

સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, 88 વર્ષની વયે જીવનલીલા સંકેલી
X

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા છે. વડોદરાની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં અક્ષરનિવાસી થયા બાદ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં હરીભક્તો ઉમટી પડ્યા હતા અને શોક મગ્ન બની ગયા હતા. આ સમયે મહિલાઓ ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડી હતી. એક મહિલાએ જણાવ્યું હતું કે, સ્વામી દાદા અક્ષરનિવાસી થયા છે જેથી અમે અંતિમ દર્શન માટે આવ્યા છીએ. અમને આજે દુઃખ છે કે, સ્વામી આજે અમારી વચ્ચે રહ્યા નથી.

સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષરનિવાસી થયા બાદ આવતીકાલે 28 જુલાઇથી 31 જુલાઇ સુધી તેમના દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે અને 1 ઓગસ્ટે બપોરે 2:30 વાગ્યે તેમની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે. જોકે, અંતિમ દર્શન કરવા માટે આવનાર હરિભક્તોને માસ્ક પહેરવાનું ફરજીયાત છે, માસ્ક પહેર્યું નહીં હોય તો દર્શન કરવા દેવામાં આવશે નહીં.હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સંતો દ્વારા તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું.

કિડની બીમારીને કારણે સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં રાત્રે તેમની તબિયત લથડતાં ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. જોકે મોડી રાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો. સ્વામીજીએ પોતાની જીવનલીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતાં હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ-વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યા હતા.

હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934માં થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા.23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટય દિન ભક્તોએ ઊજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા.

Next Story