સુરેન્દ્રનગર: જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતો નિરૂત્સાહ
અત્યાર સુધીમાં 1180 જેટલા ખેડુતો પાસેથી આશરે 24960.30 કિવન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી ચાલી રહી છે. લાભ પાંચમથી શરૂ થયેલી આ ખરીદીમાં ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છતા ઝાલાવાડના આશરે 6267 ખેડુતોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમને SMS મારફત જે તે કેન્દ્ર પર આપવાની જાણ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના 6 કેન્દ્રો વઢવાણ, લીંબડી, ધ્રાંગધ્રા, સાયલા, ચોટીલા અને મુળી ખાતે મગફળીની ખરીદીની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 1180 જેટલા ખેડુતો પાસેથી આશરે 24960.30 કિવન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વઢવાણ તાલુકાાના 340,લખતર તાલુકાના-20, લીંબડી તાલુકાના 101, ચુડા તાલુકાના 291, ધ્રાંગધ્રા તાલુકાના 2864, સાયલા તાલુકાના 450, ચોટીલા તાલુકાના 387, થાનગઢ તાલુકાના 19 અને મુળી તાલુકાના 1786 ખેડુતોએ ટેકાના ભાવે મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેના માટે હાલમાં પણ ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સૌથી વધુ 2864 ખેડુતોએ અને સૌથી ઓછા થાનગઢ તાલુકાના 19 ખેડુતો ટેકાના ભાવે મગફળી વેચવા રસ દાખવ્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, રજિસ્ટ્રેશન થયેલા ખેડુતોને SMSથી જે તે કેન્દ્ર પર મગફળી લઈને આવવા જાણ કરવામાં આવે છે. જિલ્લાના રજીસ્ટર્ડ થયેલા 6267 ખેડુતોમાંથી 3687 ખેડુતોને અત્યાર સુધીમા એસ.એમ.એસ. કરવામાં આવ્યા તેમાંથી 1180 જેટલા ખેડુતો ટેકાના ભાવે મગફળી વેચવા જે તે કેન્દ્ર પર આવ્યા હતા.