વલસાડ : પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે પારનેરા ડુંગર ખાતે વિકસાવાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયું
પારનેરા ડુંગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટમાંથી જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા રૂા.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલી સુવિધાઓનું લોકાર્પણ
વલસાડ તાલુકાના સુપ્રસિદ્ધ ધાર્મિક પ્રવાસન સ્થળ પારનેરા ડુંગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટમાંથી જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા રૂા.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલી સુવિધાઓનું લોકાર્પણ પ્રવાસન, માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીના વરદ હસ્તે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
પારનેરા ડુંગર ખાતે આર.સી.સી. પગથિયાં અને શેડ, સનસેટ પોઇન્ટ, ગાર્ડન, પાર્કિંગ અને રોડની સુવિધાઓનું લોકાર્પણ કરતાં પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, પ્રવાસનધામો અને યાત્રાધામોમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે અને તેઓને સારી સુવિધાઓ મળે તેવો રાજ્ય સરકારનો અભિગમ છે. જેના ભાગરૂપે આજે પારનેરા ડુંગર ખાતે અનેક સુવિધાઓનું લોકાર્પણ કરાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના અનેક પવિત્ર યાત્રાધામોના ઐતિહાસિક મૂલ્યો પણ છે. શિવાજી મહારાજે પારનેરા ડુંગર ઉપર માતાજીની સ્થાપના કરી હતી, જેના થકી આ સ્થાનનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ છે. સમગ્ર ગુજરાતમાં કુદરતે અદભુત સૌંદર્ય આપ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતનું સાપુતારા મોટું હિલ સ્ટેશન છે. રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ પ્રવાસન સ્થળ અને યાત્રાધામો ખાતે ઊભી કરવામાં આવી છે. ને.હા. ઉપરનું ભારણ ઘટે અને પ્રવાસનને ઉત્તેજન મળે તે માટે દરિયાકિનારે ૧૬૦૦ કિમીના કોસ્ટલ રોડ વિકસાવાનું આયોજન કરાયું છે. આ રોડ ઉપર આવતા વલસાડના તિથલ સહિત અનેક બીચનો પણ વિકાસ કરાશે. જેના થકી રોજગારીની તકો વધશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધી ટુરિઝમ સરકીટ બનાવશે જ્યારે સાપુતારા સુધી ફોરલેન બનાવવાનું આયોજન, આ બજેટમાં કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.