અસમ: બ્રહ્મપુત્ર નદીમાં ભીષણ બોટ દુર્ઘટના; બે બોટ વચ્ચે ટક્કરમાં 100 લોકો ડૂબ્યા હોવાની આશંકા
અસમની બ્રહ્મપુત્ર નદીમાં ભીષણ બોટ દુર્ઘટના બની છે. યાત્રીઓથી ભરેલી બે બોટ વચ્ચે ટક્કર થયા પછી ઘણા લોકો ગુમ હોવાના સમાચાર છે. આ ઘટના રાજ્યના જોરહટ જિલ્લાના નીમતીઘાટ પર થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને બોટમાં 100થી વધારે યાત્રી સવાર હતા. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ઘટનાની પૃષ્ટિ કરતા દુખ વ્યક્ત કર્યું છે. તેમણે માજુલી અને જોરહાટ જિલ્લા પ્રશાસનને એનડીઆરએફ અને એસડીઆરએફની મદદથી બચાવ અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે લોકોને બચાવવા માટે બધા સંભવ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હું બધાની સુરક્ષાની પ્રાર્થના કરું છું.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ પોતાના મંત્રી બિમલ બોરાને જલ્દી માજુલી પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે કહ્યું છે. સીએમે પોતાના પ્રધાન સચિવ સમીર સિન્હાને સતત ઘટનાક્રમ પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. હિમંત બિસ્વાએ ટ્વિટ કર્યું કે તે ઘટનાસ્થળનો પ્રવાસ કરવા અને સ્થિતિની સમીક્ષા કરવા માટે કાલે માજુલી પહોંચશે.
જોરહાટના અતિરિક્ત ડીસી દામોદર બર્મને જણાવ્યું કે દુર્ઘટનામાં સામેલ બંને બોટમાં લગભગ 50-50 લોકો સવાર હતા. જેમાંથી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બાકી લોકોની શોધખોળ ચાલી રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે એક બોટ માજુલીથી નીમતીઘાટ તરફ જઈ રહી હતી જ્યારે બીજી વિપરિત દિશામાં જઇ રહી હતી.
એનડીઆરએફના ડીજી સત્યા એન પ્રધાને જણાવ્યું કે બંને બોટમાં લગભગ 100થી વધારે લોકો સવાર હતા. જોરહટમાં આજે બ્રહ્મપુત્ર નદીમાં બંને વચ્ચે ટક્કર થઇ હતી. ઘણા લોકો આ ટક્કર પછી લાપતા છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.