Connect Gujarat
દેશ

રાષ્ટ્રધ્વજની "આચારસંહિતા" : હવે જાહેર કે, ખાનગી સ્થળો પર દિવસ-રાત ફરકાવી શકાશે તિરંગો, વાંચો વધુ...

રાષ્ટ્રધ્વજ કેવો હોવો જોઇએ, કઈ સાઇઝનો હોવો જોઇએ, એ બાબતની પણ એક આચારસંહિતા અમલી છે.

રાષ્ટ્રધ્વજની આચારસંહિતા : હવે જાહેર કે, ખાનગી સ્થળો પર દિવસ-રાત ફરકાવી શકાશે તિરંગો, વાંચો વધુ...
X

ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે, દેશના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તા. ૧૩થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાની આહલેક જગાવી છે. ભારત દેશના સ્વાભિમાન, આશા અને આકાંક્ષાઓ રજૂ કરતા તિરંગો ફરકાવવો એ દરેક દેશવાસી માટે ગૌરવની ઘટના છે, ત્યારે આઝાદીના આ અમૃતકાળે હર ઘર તિરંગા અભિયાનમાં જનજને જોડાઈને, રાષ્ટ્રગૌરવ લેવાની તક બારણે ટકોરા મારી રહી છે, ત્યારે આપણી આન, બાન, અને શાન સમા તિરંગાનુ અદકેરું માનસન્માન જળવાય રહે, એનો પણ આપણે ખ્યાલ રાખવાનો છે.

રાષ્ટ્રધ્વજ કેવો હોવો જોઇએ, કઈ સાઇઝનો હોવો જોઇએ, એ બાબતની પણ એક આચારસંહિતા અમલી છે. તેના વિશે માહિતગાર થવુ એ આ અવસરે ખૂબ જ રસપ્રદ બાબત બની રહેવા સાથે, તેના અમલીકરણમા પણ સરળતા રહેશે. તો આવો જોઈએ, ભારત સરકાર દ્વારા ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા-૨૦૦૨ અમલી છે. જેમાં રાષ્ટ્રધ્વજ અંગે માર્ગદર્શિકા અને અનેક પ્રકારની આચારસંહિતા ઘડી કાઢવામાં આવી છે. ભારતના રાષ્ટ્રધ્વજનું કદ, તેને ફરકાવવા માટેની પ્રણાલી અને સમય. ક્ષતિગ્રસ્ત થયેલા ધ્વજના નિકાલની પ્રક્રિયા વિગેરે આપવામાં આવી છે.

હર ઘર તિરંગા અભિયાનને લક્ષમાં લઈ, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટેના સમયના નિયમમાં ફેરફાર કરાયો છે. દેશની રાષ્ટ્રધ્વજ સંહિતા-૨૦૦૨માં, જુલાઇ માસમાં જ સુધારો કરવામાં આવ્યો છે. તે મુજબ હવેથી જાહેરમાં કે, વ્યક્તિગત રીતે ઘરમાં, દિવસ અને રાત્રે પણ રાષ્ટ્રધ્વજને ફરકાવેલો રાખી શકાશે. આ સુધારા પૂર્વે રાષ્ટ્રધ્વજને સંધ્યા સમયે સન્માન સાથે, ઉતારી લેવો પડતો હતો. ધ્વજને લંબચોરસ રાખવો ફરજિયાત છે. પણ તેના કદનું ચોક્કસ પ્રમાણ જાળવવું પડે છે.

લંબાઇ અને પહોળાઇનું પ્રમાણ ૩ અને ૨ના ગુણાંકમા રાખવું ફરજિયાત છે. જાહેર કે, ઘરના મુખ્ય સ્થાન ઉપર ધ્વજ ફર ફરકાવવાનો છે. ક્ષતિગ્રસ્ત, ફાટેલો કે, તૂટી ગયેલો ધ્વજ ફરકાવવો જોઇએ નહીં. ફાટી ગયેલો ધ્વજ સત્વરે ઉતારી લેવો. રાષ્ટ્રધ્વજને એક જ કાઠી ઉપર લહેરાવવો. એટલે તેની સાથે બીજો કોઇ ધ્વજ લહેરાવી શકાય નહીં. એક લાઇનમાં એક કરતા વધારે ધ્વજ ફરાવવામાં આવે તેવા સમયે, તિરંગોથી ઉંચે રહે એવો કોઇ અન્ય ધ્વજ ફરાવી શકાય નહીં. નિયત કદના રાષ્ટ્રધ્વજ બનાવવા માટે હાથશાળ, હાથવણાટ, કે મશિન દ્વારા કોટન, પોલીએસ્ટર, ઉન કે સિલ્ક ખાદીનો ઉપયોગ કરવાનો છે.

આ નિયમમા સને ૨૦૨૧માં સુધારો કરવામાં આવ્યો છે. તે સુધારાથી મશીન દ્વારા નિર્મિત પોલીએસ્ટરના રાષ્ટ્રધ્વજને પણ મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રધ્વજને શણગાર, ગણવેશ, એસેસરીઝના સાધન તરીકે ઉપયોગમાં લઇ શકાતો નથી. કુશન, હાથ રૂમાલ, નેપકીન સહિતના કોઇપણ પ્રકારના ડ્રેસ મટીરિયલ્સમાં એમ્બ્રોડરી કરી શકાતો નથી. કોઇપણ વસ્તુને વિટાંળી શકાતો નથી. નિયત કરાયેલા મહાનુભાવોની કારની આગળ જ રાષ્ટ્રધ્વજ લગાવી શકાય છે.

ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રધ્વજનો નિકાલ વ્યક્તિગત રીતે સળગાવીને કરાય એ ઇચ્છનીય છે. અથવા તેનો પૂરા આદર સાથે અન્ય રીતે પણ નિકાલ કરી શકાય છે. કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજને જાહેરમાં ફેંકી શકાય નહીં. તેનું માનસન્માન જાળવી, યોગ્ય રીતે તેનો નિકાલ કરવો જોઇએ. ઉક્ત નિયમો રાષ્ટ્રધ્વજ સંહિતામાં ઉલ્લેખિત છે. તેને ધ્યાને રાખીને રાષ્ટ્રધ્વજના પૂરા આદર સાથે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાનું પ્રત્યેક દેશવાસીઓને માભોમનું આહ્વાન છે.

આમ, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરતા દેશના જનજનમાં હર ઘર તિરંગા અભિયાન દેશ પ્રત્યે સન્માન અને આદરની ભાવના જગાવશે. તો આવો જાતિ, ધર્મથી ઉપર ઉઠી દેશના અમૃતકાળમાં હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને, દેશ પ્રત્યે અહોભાવ પ્રગટ કરીએ. તેનું ગૌરવ ગાન કરીએ. જયહિન્દ...

Next Story