કચ્છ : ભુજમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરાતાં લોકોમાં રોષ
ભુજમાં હમીરસર તળાવના કિનારે ગાંધીબાપુની આરસના પથ્થરની મૂર્તિ આવેલી છે પરંતુ આ મૂર્તિ જાળવણીના અભાવે ખંડિત બની ગઈ છે, અસામાજિક તત્વો દ્વારા મૂર્તિ પર ગુલાબી કલર કરવામાં આવતાં લોકોમાં રોષ ફેલાયો છે.
કચ્છનાં પાટનગર ભુજમાં હમીરસર તળાવ પાસે આવેલી બાપુની પ્રતિમાનો અંગુઠો ખંડિત થઈ જતા પ્લાસ્ટિક ટેપ મારફતે ચોંટાડવામાં આવ્યો છે. જ્યારે લાકડી પાસે તો અંગુઠો જ ગાયબ છે, બાપુના ચશ્મા પણ નથી તેમજ સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી. કોંગ્રેસના યુવા કાર્યકરે જણાવ્યું કે, જો સપ્તાહમાં નગરપાલિકા કોઈ કામગીરી નહિ કરે તો તેઓ સ્વખર્ચે સફાઈ કરાવશે.
બીજી તરફ ભુજ પાલિકાના વહીવટદાર નીતિન બોડાતે જણાવ્યું કે, ગાંધી બાપુની પ્રતિમા શહેરનું ગૌરવ છે, કોઈ પણ વ્યક્તિ ચાહે તો પ્રતિમાની સફાઇ કરી શકે છે, નગરપાલિકા તેમને સહકાર આપશે. નગરપાલિકાએ નવી પ્રતિમા લગાવવાનો ઠરાવ પણ કર્યો છે. પરંતુ કેવી મૂર્તિ લાવવી તે અંગે આગેવાનો સાથે ચર્ચા કરી નિર્ણય લેવાશે.