મધ્યપ્રદેશ : કમલનાથ સરકારની શુક્રવારે કસોટી, ફલોર ટેસ્ટ કરવા સુપ્રિમનો આદેશ
મધ્યપ્રદેશમાં
કોંગ્રેસમાં જયોતિરાદિત્ય સિંધિંયાના બળવા બાદ કોંગ્રેસ માટે ખતરો ઉભો થયો છે.
સરકાર બચાવવા કોંગ્રેસના દાવપેચને સુપ્રિમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રિમ
કોર્ટે શુક્રવારના રોજ મધ્યપ્રદેશમાં ફલોર ટેસ્ટ કરાવવા માટે આદેશ કર્યો છે.
મધ્યપ્રદેશમાં
જયોતિરાદિત્ય સિંધિંયા જુથના 22 ધારાસભ્યોના રાજીનામા બાદ કમલનાથ સરકાર અલ્પમતમાં મુકાય ચુકી છે. ભાજપ
ઝડપથી ફલોર ટેસ્ટની માંગણી કરી રહયો હતો પણ વિધાનસભાના સ્પીકરે કોરોના વાયરસના
કારણે વિધાનસભા 26મી સુધી
સ્થગિત કરી દેતાં ભાજપે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર ગુરૂવારના રોજ
સુનાવણી હાથ ધરવામાં આવી હતી.બંને પક્ષની દલીલો બાદ સુપ્રિમ કોર્ટે શુક્રવારના રોજ
સાંજે પાંચ વાગ્ય સુધીમાં ફલોર ટેસ્ટની કામગીરી પુર્ણ કરી લેવા આદેશ કર્યો છે.
ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરતી અરજી ભાજપે દાખલ કરી હતી અને તેના પર જસ્ટિસ ડીવાય
ચંદ્રચૂડ અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચ સુનાવણી કરી રહી છે. કોંગ્રેસના
ધારાસભ્યોએ રાજીનામા બાદ ખાલી થયેલી સીટો પર પેટા ચૂંટણી થવા સુધી ફ્લોર ટેસ્ટ ન
કરાવવાની માંગ કરી હતી. ભાજપે તેનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના વકીલ દુષ્યંત દવે, ભાજપના વકીલ મુકુલ રોહતગી, રાજ્યપાલના વકીલ તુષાર મહેતા, સ્પીકરના વકીલ અભિષેક મનુ સિંઘવી અને
બળવાખોર ધારાસભ્યોના વકીલ મનિંદરસિંહે રજૂઆત કરી હતી. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ
મધ્યપ્રદેશમાં રાજકારણ ગરમાય ચુકયું છે. કોંગ્રેસ સરકાર બચાવવા માટે જયારે
શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રી બનવા માટે આતુર જણાય રહયાં છે.