નર્મદા : શિયાળુ પાક માટે ખેડૂતોને વર્તાતી પાણીની ખાસ જરૂર, જુઓ શું છે રાજ્ય સરકારનો “ખેડૂતલક્ષી” નિર્ણય..!
નર્મદા બંધની મુખ્ય કેનાલમાંથી હાલ 19400 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા બંધની જળ સપાટી 134.68 મીટર પર છે. ઉપરવાસમાં 13000 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જોકે શિયાળુ પાક જ નહીં ઉનાળુ પાક માટે પણ રાજ્યના ખેડૂતો પાણી માટે સક્ષમ છે, ત્યારે ખેડૂતોની જ્યારે જ્યારે પણ માંગ ઉઠશે તેમ તેમ રાજ્ય સરકાર નર્મદા કેનાલમાંથી પાણી છોડી ખેડૂતોને પાણી પહોંચાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, નર્મદા નહેર કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે નર્મદા યોજનાની મુખ્ય નહેર પર સાબરમતી એસ્કેપ મારફતે સિંચાઈ માટે આશરે 980 ક્યુસેક પાણી છોડવાનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી અમદાવાદ જિલ્લાના ફતેવાડી નહેર કમાન્ડ યોજના વિસ્તારના દસ્ક્રોઇ, બાવળા, સાણંદ, ધોળકા અને વિરમગામ તાલુકાઓના આશરે 25,000 હેક્ટર વિસ્તારમાં તથા ખારીકટ નહેર યોજના કમાન્ડ વિસ્તારના બારેજા, દસ્ક્રોઇ અને માતર તાલુકામાં આશરે 2800 હેક્ટર વિસ્તારમાં સિંચાઇનું પાણી તાત્કાલીક અસરથી છોડવામાં આવી રહ્યું છે. જેથી રવિ પાકો માટે આગામી 15 માર્ચ 2021 સુધી સિંચાઇના પાણીનો લાભ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.