સાબરકાંઠા: પ્રાંતિજના ખેડૂત દ્વારા શાકભાજીમાં નવતર પ્રયોગ, જાણો કેન્સર-ચામડીના રોગ માટે કેવી રીતે ફાયદાકારક
સાબરકાંઠાના પ્રાંતિજ ગામના એક ખેડૂતે પરંપરાગત ખેતી છોડી શાકભાજીની ખેતીમાં નવતર પ્રયોગ કર્યો છે. ખેડૂતે રંગબેરંગી ફ્લાવરની ખેતી કરી છે જે કેન્સર અને ચામડીના રોગ માટે ઘણા જ ફાયદાકારક છે.
સાબરકાંઠાના પ્રાંતિજ ગામના એક ખેડૂતે શાકભાજીમાં નવતર પ્રયોગ કરીને રંગીન ફ્લાવરની જાત વિકસાવી છે. પ્રાંતિજ ગામના કલ્પેશ પટેલે વિવિધ રંગબેરંગી ફ્લાવરની ખેતી કરીને કેન્સર તેમજ ચામડીના રોગ દૂર કરવા સહિત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. સામાન્ય રીતે સફેદ કલરના ફ્લાવરનો ભાવ હાલમાં બજારમાં કિલોએ રૂપિયા ૫થી ૭ છે. જ્યારે રંગબેરંગી ફ્લાવરની કિંમત કિલોએ 25 રૂપિયા છે.આમ આ ફ્લાવર દ્વારા ખેડૂતોને આર્થિક સધ્ધરતા પણ મળી રહે છે. હાલમાં સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે રંગબેરંગી ફ્લાવરની માગ વધુ હોવાને પગલે સ્થાનિક ખેડૂત પોતાના ખેતરથી જ ફ્લાવર નું વેચાણ કરે છે અને લોકો પણ ખેતરથી જ ખરીદી કરે છે. રંગીન ફ્લાવરમાં જાંબલી ફ્લાવર વેલેન્ટીના નામથી, કેસરી ફ્લાવર કેરોટિના નામથી અને ગ્રીન ફ્લાવર વરિયાળીના નામથી ઓળખાય છે.