IND VS SA: બીજી ટેસ્ટમાં પૂજારાના સ્થાને શ્રેયસ ઐયરને મળી શકે છે તક ,વાંચો કોની થઇ શકે છે એન્ટ્રી કોણ થઈ શકે છે બહાર
ભારત અને દ.આફ્રિકા વચ્ચે 3 જાન્યુઆરી એટલે કે સોમવારે 3 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાશે. આ મેચ જોહાનિસબર્ગના મેદાનમાં રમાશે
ભારત અને દ.આફ્રિકા વચ્ચે 3 જાન્યુઆરી એટલે કે સોમવારે 3 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાશે. આ મેચ જોહાનિસબર્ગના મેદાનમાં રમાશે. ઉલ્લેખનીય છે કે સેન્ચુરિયન ટેસ્ટમાં 113 રનથી જીત દાખવી કોહલી એન્ડ કંપનીની નજર બીજી ટેસ્ટ જીતી સિરીઝ પોતાને નામ કરવા પર રહેશે. આ મેચમાં પણ ઓપનિંગમાં કે.એલરાહુલ અને મયંક અગ્રવાલની જોડી જોવા મળશે. વળી રોહિતની ગેરહાજરીમાં રાહુલ અને મયંકની જોડીએ પહેલી ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી ભારતને સારી શરૂઆત આપી હતી. તેમની જોડીએ પહેલી ઈનિંગમાં 117 રન જોડ્યા હતા. રાહુલે પહેલી ઈનિંગમાં 123 રન કર્યા હતા, જ્યારે મયંકે 60 રન નોંધાવ્યા હતા. જોહાનિસબર્ગમાં પણ મંયક અને રાહુલની જોડી પાસે ટીમને હાઈસ્કોરિંગ ઓપનિંગ પાર્ટનરશિપની આશા રહેશે. ઈન્ડિયન ટીમની ઓપનિંગ જોડી પછી નંબર-3 પર ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા ચેતેશ્વર પુજારાને થોડો આરામ આપી તેના સ્થાને શ્રેયસ અય્યરને તક મળવી જોઈએ. પુજારાએ પહેલી ટેસ્ટની બંને ઈનિંગનો સરવાળો કરીએ તો માત્ર 16 રન કર્યા હતા. તે ઘણા લાંબા સમયથી હાઈસ્કોરિંગ ઈનિંગ રમી શક્યો નથી. તેવામાં જો અય્યરની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ સમયે તેનું પ્રદર્શન યાદગાર રહ્યું હતું. નંબર-4 પર વિરાટ કોહલી સારા ફોર્મમાં તો છે પરંતુ હાઈસ્કોર નોંધાવી શકતો નથી, જેથી તેની નજર પોતાની વીકનેસ પર ધ્યાન આપી સદી નોંધાવવા સામે રહેશે. વળી કેપ્ટન કોહલીએ જોહાનિસબર્ગમાં રમેલી 2 ટેસ્ટની 4 ઈનિંગમાં કોહલીએ 77.50ની એવરેજથી કુલ 310 રન કર્યા છે. ફાસ્ટ બોલિંગમાં પણ કેપ્ટન કોઈ ફેરફાર કરે તેમ લાગતું નથી. જસપ્રીત બુમરાહની આગેવાનીમાં પેસ અટેકમાં મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ રહેશે. પહેલી ટેસ્ટમાં આ ચારેય ફાસ્ટ બોલર્સે શાનદાર પ્રદર્શન દાખવ્યું હતું.પહેલી ટેસ્ટમાં બુમરાહે 5 વિકેટ તો શમીએ 8 વિકેટ લીધી હતી. જ્યારે સિરાજે 3 અને શાર્દૂલે 2 ખેલાડીને પેવેલિયન ભેગા કર્યા હતા.