રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ કેચ ઝડપનાર ખેલાડી બન્યો
ભારત અને શ્રીલંકા વચ્ચે ધર્મશાલામાં રમાઈ રહેલી બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો.
ભારત અને શ્રીલંકા વચ્ચે ધર્મશાલામાં રમાઈ રહેલી બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 183 રન બનાવ્યા હતા. નિસાંકાએ 53 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 75 રન બનાવ્યા હતા. કેપ્ટન શનાકા 19 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 47 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી હતી.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની બીજી T20 મેચમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત ટી20 ઈન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ કેચ ઝડપનાર ખેલાડી બની ગયો છે. તેણે શ્રીલંકા સામેની બીજી ટી20 મેચમાં તેનો ટી20 ઈન્ટરનેશનલનો 50મો કેચ લીધો હતો. રોહિત શર્માએ બુમરાહના બોલ પર દિનેશ ચાંદીમલને કેચ આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 43 કેચ સાથે બીજા નંબર પર છે.
T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ કેચ લેવાના મામલે દક્ષિણ આફ્રિકાનો ડેવિડ મિલર ટોપ પર છે. તેણે કુલ 69 કેચ લીધા છે. માર્ટિન ગુપ્ટિલ 64 કેચ સાથે બીજા નંબર પર છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનનો અનુભવી ખેલાડી શોએબ મલિક આ યાદીમાં ચોથા નંબર પર છે. તેણે 50 કેચ પણ લીધા છે.