સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતના સમયમાં કરાયો બે કલાકનો વધારો
નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત માટેના સમયમાં આજે તા. ૫મી ફેબ્રુઆરી,૨૦૧૯ના રોજથી બે કલાકનો વધારો કરાયો છે.
સમયમાં કરાયેલા ફેરફાર મુજબ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત માટેનો સમય હવે સવારના ૮-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી રાખવાનો ચીફ એડમિનીસ્ટ્રેટર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડીયા કોલોની તરફથી નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતના સમયમાં આ ફેરફાર થવાથી પ્રવાસીઓ હવે સવારના ૮-૦૦ વાગ્યાથી મુલાકાત લઇ શકશે અને આગામી ઉનાળાની ઋતુમાં સમયના ફેરફારને લીધે પ્રવાસીઓની અનુકુળતા પણ વધશે. શનિવાર-રવિવાર તથા જાહેર રજાના દિવસોએ ૬૦૦૦ પ્રવાસીઓ વ્યુઇંગ ગેલેરીનો લાભ લઇ શકતા હતા. હવેથી સમયમાં બે કલાકનો વધારો થવાથી દરરોજ ૭૦૦૦ સુધીની સંખ્યામાં પ્રવાસીઓ વ્યુઇંગ ગેલેરીની મુલાકાતનો લાભ લઇ શકશે, તેમ પણ વધુમાં જણાવાયું છે.