Connect Gujarat
Featured

સુરત : ભેસ્તાન આવાસમાં થયેલ 9 વર્ષીય બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો 13 વર્ષના કિશોરે કેમ કરી હત્યા..!

સુરત : ભેસ્તાન આવાસમાં થયેલ 9 વર્ષીય બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો 13 વર્ષના કિશોરે કેમ કરી હત્યા..!
X

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ નજીક ગતરોજ 9 વર્ષના બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતાં તેના જ એક 13 વર્ષીય મિત્રએ રમત દરમ્યાન થયેલા ઝઘડામાં લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે.

મૂળ અલાહાબાદનો વતની શ્રીલાલ યાદવ હાલ ભેસ્તાન નજીક સરસ્વતી આવાસમાં રહે છે. તેઓનો એકનો એક 9 વર્ષીય દીકરો પોતાના વતનમાં કાકા સાથે રહેતો હતો. જોકે 25 દિવસ અગાઉ દીકરો સુરત રહેવા આવ્યો હતો. ગત ગુરુવારના રોજ સવારના સમયે 9 વર્ષીય દીકરો રમવા ગયા બાદ ઘરે પરત ન આવતાં પરિવારજનોએ તેની શોધખોળ આરંભી હતી. બનાવની જાણ થતાં જ પાંડેસરા પીઆઇ સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યારે લગભગ સવાત્રણ કલાક બાદ ઘરેથી થોડા અંતરે ઝાડીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતાં 9 વર્ષીય બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આવાસમાં રહેતા અન્ય 13 વર્ષીય મિત્રએ જ રમત રમતમાં થયેલા ઝઘડામાં લાકડાના ફટકા મારી શ્રીલાલ યાદવના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે બાળકની હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story