સુરત : ફાયર સેફ્ટીના અભાવે હોસ્પિટલો સીલ કરાઇ, ફાયર વિભાગની કામગીરીથી તબીબ આલમમાં ખળભળાટ
સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા વિવિધ હોસ્પિટલોને ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. જોકે, સતત ત્રીજા દિવસે પણ આ કામગીરી થતાં તબીબ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હાલ સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેર વધુ ઘાતક બનતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. તો સાથે જ રાજ્યની કેટલાઈક હોસ્પિટલોમાં આગ લાગવાની પણ દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે આગની ઘટનામાં અનેક દર્દીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. તેવામાં હવે સુરત શહેર આ પ્રમાણે કોઈ મોટી આગની ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગ સતર્ક થયું છે.
સુરત ફાયર વિભાગ દ્વારા શહેરની અલગ અલગ 8 જેટલી હોસ્પિટલને ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવામાં આવી છે. અગાઉ ફાયર વિભાગે ફાયર સેફ્ટી અંગે આ હોસ્પિટલો નોટિસ આપી હતી. જોકે, નોટિસ બાદ પણ હોસ્પિટલ તંત્ર દ્વારા આ મામલે કોઈ કામગીરી કરવામાં નહીં આવી હતી. જેથી છેલ્લા 3 દિવસમાં 44 હોસ્પિટલો સીલ કરવામાં આવતા તબીબ આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે.