સરથાણા જકાતનાકા પાસે સરથાણા બિઝનેસ હબની ઘટના
બિઝનેસ હબના 9મા માળેથી મહિલા ડોક્ટરે લગાવી છલાંગ
9મા માળેથી પટકાતાં મહિલા ડોક્ટરનું ગંભીર ઇજાથી મોત
બનાવના પગલે ઘરના સભ્યો-પોલીસ કાફલો દોડી આવ્યો
આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
સુરત શહેરના સરથાણા વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલ ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની અને હાલ સુરતના સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલ વિશ્વા રેસિડેન્સિમાં રહેતી 28 વર્ષીય રાધિકા જમનભાઈ કોટડિયા પોતાના પરિવાર સાથે રહેતી હતી. રાધિકાની 6 મહિના પહેલાં જ એક યુવક સાથે સગાઈ થઈ હતી, અને આગામી 19 ફેબ્રુઆરી-2026ના રોજ તેમના લગ્ન થવાના હતા. ગત તા. 21 નવેમ્બર સાંજે 7:15 વાગ્યાના અરસામાં રાધિકા સરથાણા જકાતનાકા પાસે સરથાણા બિઝનેસ હબમાં 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાં ગઈ હતી, ત્યાં અન્ય કપલો પણ હાજર હતાં, અને બધા હળવાશની પળો માણી રહ્યા હતા. આ દરમિયાન રાધિકા અચાનક ખુરસી પરથી ઊભી થઈ, અને પાળી ઉપર ચઢીને સીધું નીચે ઝંપલાવી દીધું હતું. જોરથી કંઈક પટકાયાનો અવાજ આવતાં આસપાસના લોકો તેમજ કાફેના લોકો દોડી ગયા હતા. જોકે, ગંભીર ઇજાના પગલે રાધિકાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ ઘરના તમામ સભ્યો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો, જ્યાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. આ તરફ, પોલીસની પ્રાથમિક તપાસમાં ડોક્ટર રાધિકાએ મંગેતર સાથેના અણબનાવોને કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2 મહિના બાદ મહિલા ડોક્ટરના લગ્ન થવાના હતા, ત્યારે આ ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતી, અને ત્યાંથી જ કૂદીને જીવન ટૂંકાવ્યું છે. હાલ તો આપઘાત પાછળનું કોઇ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.