-
અશ્વિનીકુમાર મેઇન રોડ પર આવેલી સરસ્વતી સ્કૂલમાં આગ
-
લાઈબ્રેરી રૂમમાં એસી ચાલુ કરતા ધડાકા સાથે આગ લાગી
-
આગ લાગતા શાળામાં ભયનો માહોલ
-
આગ લાગી ત્યારે શાળામાં 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા
-
ઘટનાને પગલે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી
-
ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી.
સુરતના અશ્વિનીકુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે સવારે 9.21 કલાકે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. આગની જાણ થતા આજે સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી અને સ્કૂલમાં રહેલી ફાયર સેફટી દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા.
સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા કતારગામ અને કાપોદરાની ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્રણ ફાયર સ્ટેશનની છ થી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ આગ લાગી હોવાની જાણ થતા જ સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલમાં બાળકોને રજા પણ આપી દેવામાં આવી હતી.સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.