સુરેન્દ્રનગર : લીંબડીમાં વર્ષો જૂના ધટાદાર વૃક્ષોનું PGVCL દ્વારા કરાયું નિકંદન, જુઓ પર્યાવરણ પ્રેમીઓએ શું કર્યું..!
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના મુખ્ય માર્ગો પર પીજીવીસીએલ તંત્ર દ્વારા વર્ષો જૂના ધટાદાર વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે. જેના કારણે સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ સરકાર દ્વારા “વધુ વુક્ષ વાવો, પર્યાવરણ બચાવો”ના સૂત્ર સાથે વૃક્ષારોપણ સહિત વૃક્ષોના જતન માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ લીંબડી શહેરના ટાવર વિસ્તારથી ગ્રીન ચોક સુધીના માર્ગ પર પીજીવીસીએલ તંત્ર દ્વારા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે.
આ તમામ વૃક્ષો અંદાજે 20થી વધુ વર્ષ જૂના અને ધટાદાર હોવાથી પર્યાવરણ પ્રેમીઓમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી છે. તો સાથે જ વેપારીઓ, દુકાનદારો અને શહેરીજનોએ કોઈપણ કારણ વગર અને વૃક્ષો નડતરરૂપ ન હોવા છતાં પીજીવીસીએલ તંત્ર દ્વારા તેનું નિકંદન કર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે હાલ તો સ્થાનિકોએ મામલતદાર તેમજ વન વિભાગના અધિકારીઓને જાણ કરી આ મામલે યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી હતી.