આંધ્રપ્રદેશ સરકારનો મોટો નિર્ણય : શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ, શિક્ષકો પણ નહીં કરી શકે ઉપયોગ..!
આંધ્રપ્રદેશ સરકારે રાજ્યની તમામ શાળાઓમાં મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. વિદ્યાર્થીઓની સાથે હવે શિક્ષકો પણ વર્ગખંડમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમના વર્ગમાં જતા પહેલા શિક્ષકોએ તેમના ફોન એક જગ્યાએ જમા કરાવવા પડશે.
આજના સમયમાં સ્માર્ટ ગેજેટ્સ અને મોબાઈલ ફોનનો ઉપયોગ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. બાળકોના મન પર આની ઊંડી અસર પડી રહી છે. તેને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ સરકારે મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં, હવે રાજ્યભરની શાળાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શાળા શિક્ષણ વિભાગે એક આદેશ જારી કરીને વિદ્યાર્થીઓને શાળાઓમાં મોબાઈલ ફોન લાવવા અને વાપરવા પર પ્રતિબંધ મુક્યો છે. એટલું જ નહીં, વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, હવે શિક્ષકોએ પણ તેમના વર્ગમાં જતા પહેલા તેમના ફોન મુખ્ય શિક્ષકને જમા કરાવવાના રહેશે. ખરેખર, આ પ્રતિબંધ વિભાગ દ્વારા લાદવામાં આવ્યો છે, જેથી શિક્ષણમાં કોઈ બેદરકારી ન થાય. અધિકારીઓએ જણાવ્યું કે, આ કાર્યવાહી યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો)ના ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ અનુસાર કરવામાં આવી છે. યુનેસ્કોએ શાળાઓમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવાનું સમર્થન કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક સ્તરે ચારમાંથી એક દેશે ડેટા ગોપનીયતા, સુરક્ષા અને બાળકોની સુખાકારી માટે કાયદો અથવા નીતિ તરીકે આવા પ્રતિબંધ લાદ્યા છે. શૈક્ષણિક ક્ષેત્રમાં ડિજિટલ પ્રોડક્ટ્સનો ખૂબ જ ઝડપથી ઉપયોગ થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ ચેતવણી આપી છે. શાળા શિક્ષણ વિભાગે પહેલાથી જ શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા માટે કહ્યું હતું. પરંતુ આ આદેશનું કડકાઈથી પાલન થઈ રહ્યું ન હતું. વર્ગ દરમિયાન શિક્ષકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાથી વિદ્યાર્થીઓને જાતે જ લખાણ વાંચવા અને સમજવાની ફરજ પડે છે.