અમદાવાદ : રાજયમાં પેટાચુંટણી પહેલાં અમિત શાહ ગુજરાતમાં, જુઓ શું છે કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મંગળવારના રોજ સાંજના અમદાવાદ આવે તેવી શક્યતા છે. નવરાત્રિનો પર્વ હોવાથી પોતાના વતન માણસા ખાતે પૂજા તેમ જ આરતીમાં ભાગ લેવા શાહ ગુજરાતમાં આવીને 5 દિવસનું રોકાણ કરે તેવી શક્યતા છે. જોકે તેમની આ મુલાકાત તદ્દન ઔપચારિક અને બિનરાજકીય રહેશે તેવું તેમની નજીકનાં સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ હજુ સુધી સત્તાવાર રીતે આ અંગે કોઈ જાહેરાત કરાઈ નથી, પરંતુ દર નવરાત્રિએ તેઓ પોતાના પરિવાર સાથે માણસામાં માતાજીની આરતી-પૂજામાં ભાગ અવશ્ય લે છે. ઉપરાંત તેમને ગુજરાત આવ્યે ઘણો સમય થઈ ગયો હોવાથી તેઓ અહીં આવી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે. આ 5 દિવસ શાહ માત્ર પરિવાર સાથે જ રહેશે. માત્ર ગણતરીના જ ભાજપના નેતા તેમની ઔપચારિક મુલાકાતે આવી શકે છે, તે સિવાય તેઓ કોઈ રાજકીય કામ આ દરમિયાન કરશે નહીં
નોંધનીય છે કે, 7 મહિના બાદ તેઓ ફરીવાર વતન ગુજરાત આવી રહ્યા છે. તેઓ તાજેતરમાં કોરોના સંક્રમિત પણ થયાં હતા. જો કે, એવી વાતો પણ સંભળાઇ રહી છે કે, ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેઓ કાર્યકર્તાને પ્રચાર અંગે માર્ગદર્શન આપી શકે છે અને પેટાચૂંટણી અંગે પણ પ્રદેશ સંગઠન સાથે ચર્ચા કરશે.