Connect Gujarat
વડોદરા 

વડોદરા : હરિપ્રસાદ સ્વામીજીની રવિવારે બપોરના 2 કલાકે અંત્યેષ્ઠિ કરાશે

યોગી ડિવાઇન સોસાયટીના સ્થાપક હરિપ્રસાદ સ્વામીજીના રવિવારના રોજ બપોરે 2 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.

વડોદરા : હરિપ્રસાદ સ્વામીજીની રવિવારે બપોરના 2 કલાકે અંત્યેષ્ઠિ કરાશે
X

યોગી ડિવાઇન સોસાયટીના સ્થાપક હરિપ્રસાદ સ્વામીજીના રવિવારના રોજ બપોરે 2 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. રાજકોટના શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદી શાસ્ત્રોક્ત રીતે અંતિમવિધિ કરાવશે.

યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અંતિમ દર્શન માટે દેશ-વિદેશથી ભક્તોનો અવિરત પ્રવાહ આજે ચાલુ રહ્યો હતો. રવિવારના રોજ હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંત્યેષ્ટિની આ શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવવામાં આવશે. રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ. વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશિક અનંતરાય ત્રિવેદી મુખ્ય પુરોહિત રહેશે. કૌશિક શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, શાસ્ત્ર કથન અનુસાર મનુષ્ય જીવનમાં સોળ સંસ્કાર કરવાના હોય છે. જેમાં અંતિમ સોળમો સંસ્કાર અંત્યેષ્ટિ છે. જે દેવઋણ, મનુષ્યઋણ અને ગુરૂઋણમાંથી મુક્તિ અપાવે છે. અંત્યેષ્ટિ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે. દેશભરની પવિત્ર નદીઓ તેમજ ભગવાન સ્વામિનારાયણે જે જળાશયોમાં સ્નાન કરેલું તેનાં જળથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય વિગ્રહ પર અભિષેક કરવામાં આવશે.

પંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ ઉપરાંત હ્રદયસ્થ આત્માના પ્રતિનિધિરૂપ ષટપિંડ પૂજન થશે. ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુ ભગવાનના પ્રતિનિધિરૂપ શાલિગ્રામજીણી પૂજા કરવામાં આવશે. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરુષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે. પંડિતો દ્વારા પુરુષ સૂક્તના શ્લોકોનું સતત ગાન કરવામાં આવશે. વધુમાં ઉમેર્યું હતું કે, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જેવા દિવ્ય સત્પુરુષોને આ પ્રકારની વિધિની આવશ્યકતા નથી હોતી. પરંતુ શિષ્ય સમુદાય ગુરૂઋણમાંથી મુક્ત થઈ શકે તે માટે આ વિધિ જરૂરી છે. લાખો લોકોના હ્રદયમાં સ્થાન મેળવનાર આવા મહાપુરુષોની અંતિમવિધિ સમયે સંકલ્પ –પ્રાર્થના કરવાથી તમામ મનોરથ પૂર્ણ થાય છે અને ગુરૂની કૃપા સદૈવ વરસતી રહે તેવું શાસ્ત્ર કથન છે. ભગવાન શ્રી રામે પિતા દશરથજી માટે વનમાં આ વિધિ કરી હતી તેમજ ભગવાન શ્રી કૃષ્ણે યાદવકુળ માટે આ રીતે શાસ્ત્રોક્ત વિધિ કરી હતી.

Next Story