રશિયા-યુક્રેન "યુદ્ધ" : ભારતીયોને પરત લાવવા આગામી 3 દિવસમાં 26 ફ્લાઈટ શેડ્યૂલ કરાય
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ત્યાથી બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. તેવામાં વિદેશ મંત્રાલયે માહિતી આપી છે
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ત્યાથી બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. તેવામાં વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે, ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આગામી 3 દિવસમાં 26 ફ્લાઈટ શેડ્યૂલ કરવામાં આવી છે.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેનના વધતાં તણાવ અને યુદ્ધ વચ્ચે ભારતીય નાગરિકોને યુક્રેનમાંથી પરત વતન લાવવાની કામગીરી ચાલી રહી છે. બુકારેસ્ટ અને બુડાપેસ્ટ સિવાય પોલેન્ડ અને સ્લોવાક રિપબ્લિકના એરપોર્ટનો ઉપયોગ ઈવેક્યુએશન ફ્લાઈટ્સ ચલાવવા માટે કરવામાં આવશે. ભારતીયોને પરત લાવવા માટે એરફોર્સનું સી-17 એરક્રાફ્ટ બુધવારે સવારે 4 વાગ્યે રોમાનિયા જઈ શકે છે. તે જ સમયે, IAF અધિકારીએ માહિતી આપી હતી કે, ભારતીય વાયુસેનાનું C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ હિંડોનમાં તેના હોમ બેઝથી રોમાનિયા માટે રવાના થશે. વિદેશ સચિવે કહ્યું, "જ્યારે અમે અમારી પ્રથમ એડવાઈઝરી જારી કરી હતી, ત્યારે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય વિદ્યાર્થીઓ હતા, ત્યારથી લગભગ 12,000 વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચૂક્યા છે. બાકીના 40% વિદ્યાર્થીઓમાંથી, લગભગ અડધા સંઘર્ષ ક્ષેત્રમાં છે અને અડધા યુક્રેનની પશ્ચિમ સરહદ પર પહોંચી ગયા છે અથવા તેના માર્ગ પર છે, ત્યારે તેઓને પણ હવે વહેલી તકે ત્યાથી બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.