ભરૂચ ખાતે યોગ સંવાદ બેઠક યોજાઈ, મંત્રી ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
ભરૂચ : યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ
ધ્વારા વિશ્વને આપેલી ભેટ છે તેમ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે અને
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા વિશ્વ સમક્ષ - યુનેસ્કોમાં રજુઆત કરી ૨૧ મી જૂનને
વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે તેમ ઉમેર્યું હતું.
મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગુજરાત રાજ્ય
યોગ બોર્ડ, પતાંજલિ સમિતિ, આર્ટ ઓફ લીવીંગ અને બ્રહ્માકુમારી, સ્વામી વિવેકાનંદ બોર્ડ - ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોગ સંવાદના
કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. લોકોમાં યોગ વિશે જાણકારી અને જાગૃતિ આવે તે હેતુથી
યોજેલ આ સંવાદમાં મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, યોગ
એ ફક્ત દિવસે જ નહિ પરંતુ સમગ્ર વર્ષમાં યોગાસનો કરવા જોઈએ તેમજ યોગને રાજ્યના
દરેક ગામનો વ્યક્તિ જાણતો હોવો જોઈએ અને યોગાસનો સહેલાઈથી કરીને તે પોતાના ગામને
યોગાભ્યાસ કરાવીને ગામ લોકોને તંદુરસ્ત બનાવે તેવો રાજ્યના યોગ બોર્ડનો ઉદ્દેશ છે.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ
બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલે જણાવ્યું હતું કે, ફક્ત
ગામ જ નહિ પરંતુ શહેર, જિલ્લા, રાજ્ય અને આખા દેશને યોગમય બનાવીએ અને યુવાનોને ડૉક્ટર, ખેડૂત, અધિકારી પણ
બનાવીએ પરંતુ સાથે તેને યોગી પણ બનાવીએ અને યોગ સંવાદ બેઠકમાં રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષે
ઉપસ્થિત ભરૂચના યુવાનોને યોગ વિશે ઉંડાણ પૂર્વક સમજ આપી અને યુવાનોને ટ્રેનર બનવા
માટે પ્રેરણાદાયી ઉદાહરણો આપ્યા હતા.
ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે
જણાવ્યું હતું કે રાજ્ય યોગ
બોર્ડ ધ્વારા યોગ શિબિર અને યોગ સંવાદ બેઠકો કરવામાં આવનાર છે જે સરાહનીય છે.
આ બેઠકમાં મારૂતિસિંહ અટોદરીયા, બ્રહમાકુમારીના
હેતલબેન, સ્વામી વિવેકાનંદના સુધીરભાઈ, કામિનાબેન, ખુશ્બુબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.