અંકલેશ્વર કોંગ્રેસનાં ઉમેદવાર અનિલ ભગતે ઉમેદવારી પત્ર ભર્યુ
અંકલેશ્વર - હાંસોટ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર અનિલ ભગતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
અંકલેશ્વર શહેરનાં ત્રણ રસ્તા સર્કલ ખાતેની કોંગ્રેસ કાર્યાલયથી અનિલ ભગતે કોંગ્રેસનાં કાર્યકર્તાઓ તેમજ આદિવાસી નૃત્યનાં કલાકારો સાથે રેલી કાઢી હતી, અને શહેરનાં સ્ટેશન વિસ્તારમાં આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને તેઓ ઉમેદવારી નોંધાવવા માટે કોંગ્રેસનાં કાર્યકર્તાઓ સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં અનિલ ભગતે પોતાના ટેકેદારો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
જોકે ભરૂચ જિલ્લા પંચાયતનાં ઉપ પ્રમુખ અને મૂળ જેડીયુનાં અનિલ ભગતની કોંગ્રેસ દ્વારા અંકલેશ્વરનાં ઉમેદવાર તરીકે પસંદગી થતા કોંગ્રેસમાં આંતરિક વિવાદ વક્રી રહ્યો છે, અને અનિલ ભગતની ઉમેદવારી સામે કોંગ્રેસનાં કોળી પટેલ સમાજનાં કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે, અનિલ ભગત જ્યારે કાર્યકર્તાઓ સાથે ઉમેદવારી નોંધાવવા માટે ગયા હતા, ત્યારે પણ કોળી પટેલ સમાજનાં કોંગી આગેવાનોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.