રાજ્યસભામાં અહેમદ પટેલના વિજયને પડકારતી પિટિશન બળવંતસિંહ રાજપૂતે ગુજરાત હાઈકોર્ટ કરી હતી
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગજ્જ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલના વિજયને પડકારતી પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં કરાયી હતી. જેના પર સુનાવણી કરવા સામે આજે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. આ સાથે જ રાજ્યસભા ચૂંટમી વિવાદમાં અહેમદ પટેલને મોટી રાહત મળી છે. ભાજપના નેતા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં બે મત રદ કરવાથી અહેમદ પટેલના વિજયને પડકારતા ચૂંટણી પંચના નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી.
આજે સોમવારે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે અહેમદ પટેલની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળ જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડની ખંડપીઠે સુનાવણી કરી હતી. જેમાં સર્વોચ્ચ ન્યાયાલયે હાઈકોર્ટને પિટિશન પર સુનાવણી નહીં કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમે આ કેસમાં બન્ને પક્ષને પોતાના જવાબો અને ખુલાસા આપવા ચાર સપ્તાહનો સમય આપ્યો હતો.
અહેમદ પટેલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, તેના પ્રતિસ્પર્ધી અને ભાજપના નેતા બળવંતસિંહે કરેલી પિટિશન અયોગ્ય છે. તેને રદ કરવા અરજ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં બે કોંગ્રેસી બળવાખોર નેતાઓના મત રદ કરાતાં રાજપૂતનો પરાજય થયો હતો. અને અહેમદ પટેલની જીત થઈ હતી.