નર્મદા : ગંભીરપુરા ગામે દિપડાએ ૧ બકરાને ફાડી ખાધો, વન વિભાગે મૂક્યું પાંજરું

નર્મદા જિલ્લાના ગંભીરપુરા ગામે દિપડો હોવાની રજુઆત નર્મદા વન વિભાગને કરવામાં આવી હતી. જોકે વનવિભાગ દ્વારા આ ગામમાં પાંજરું પણ મુકવામાં આવ્યું હતું. પરંતુ દીપડાએ ગામમાં ચારણ કરતા ૨ પશુઓ પર હુમલો કરતા મોત થવા પામ્યા છે.
મળતી માહિતી અનુસાર, તીલકવાડા તાલુકાના ગંભીરપુરા ગામે રહેતા નગીનભાઈ ખેતરમાં રહીને પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે સાંજનો સમય હોવાથી જમવાની તૈયારી કરતા હતા તેવામાં જ એક દીપડો અચાનક આવી જોત જોતામાં બે બકરાઓ પર હિંસક હુમલો કરતા બન્ને બકરાને મારી ઢસડીને લઈ ગયો. પોતની નજર સામે જ પશુના મોતને જોતા માલિકે બુમો પાડતા દીપડો એક બકરાને મૂકી ત્યાંથી ભાગી ગયો હતો. આ વિસ્તારમાં દિપડો હોવાનું વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
પરંતુ, નર્મદા વન વિભાગના જાડી ચામડીના અધિકારીઓ કોઈ નક્કર પગલાં ન લેતા બનાવ બનવા પામ્યો છે. હવે જોવું એ રહ્યું કે દીપડો માનવભક્ષી બને અને માનવ વસ્તીમાં હાહાકાર ફેલાવે તેની રાહ વન વિભાગ જોઈ રહ્યું છે, કે પછી જાગ્યા ત્યાંથી સવાર સમજી દીપડાને પકડવા પાંજરું મૂકે છે, હાલ તો દીપડાને પકડવા માટે વન વિભાગ પાંજરું મૂકે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.