![મોબલીંચીંગ વિષય ચર્ચાની એરણે:દમ અધિકાર મંચ દ્વારા કલેકટરને આવેદન](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/01-4.jpg)
મોબલીંચીંગ કેસમાં ભરૂચમાં રેલી કાઢવામાં નિષ્ફળ નિવડેલી કોંગ્રેસ સાથે છેડો ફાડી માઈનોરીટી સેલ સહિતના આગેવાનોએ દમ અધિકાર મંચ દ્વારા અલગ ચોકો ઉભો કરી દમ અધિકાર મંચના માધ્યમથી જિલ્લા કલેકટરને આવેદન આપી ઝારખંડમાં તબરેજ અન્સારી નામના મુસ્લીમ યુવકની આતંકી ટોળાએ ભેગા થઈ ક્રુર હત્યા કરવાના કિસ્સાને વાખોડી નાંખી ભાઈચારાની ભાવનાને નાશ કરવાના ઈરાદે થતા હિંસક તોફાનોને રોકવા માટેની માંગ ઉઠાવી હતી.
દેશમાં અત્યારે સૌથી વધારે મોબલીંચીંગ વિષય ચર્ચાની એરણે ચડયો છે. ભારતભરમાં તેની સામે દેખાવો થઈ રહયા છે. આવેદનો અપાઈ રહયા છે. ભરૂચમાં મોબલીંચીંગ બાબતે કોંગ્રેસ દ્વારા રેલી ન કઢાતા મુસ્લીમ, આદિવાસી અને દલિત આગેવાનોએ રાજીનામા આપી કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે. આગેવાનોએ દલિત આદિવાસી મુસ્લીમ અધિકાર મંચ એટલે કે દમ અધિકાર મંચની સ્થાપના કરી છે અને આજરોજ તેના માધ્યમથી જિલ્લા કલેકટરને આવેદન આપી દેશની એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે મોબલીંચીંગના હિંસક બનાવોની સામે સખત પગલાં લેવાની માંગ ઉઠાવી છે.
જિલ્લા કલેકટરમાં અપાયેલ આવેદનમાં જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી ધર્મ અને ગૌહત્યાના નામે એક અથવા બીજા કારણોસર ખુલેઆમ હથિયારો સાથે ટોળાશાહીના માધ્યમથી આશાસ્પદ, નિર્દોષ યુવાનોની ઘાતકી હત્યાઓ કરવામાં આવી છે. જે આ દેશની સંસ્કૃતિ પર સૌથી મોટું કલંક છે. જેની નોંધ સુપ્રિમ કોર્ટે લીધી છે અને સરકારોને તે અંગે માર્ગદર્શિત પણ કરી છે. આવા બનાવો માટે ખાસ કાયદો બનવો જાઇએ તેવી સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. અને તે છતાં કેન્દ્રની સરકારે કોઇ કાયદો બનાવ્યો નથી.
મુસ્લીમોને ટાર્ગેટ બનાવી તેમના પર હિંસક હુમલાઓ કરાય છે. આ બાબત દેશના બંધારણ વિરૂધ્ધ છે. આવ ઘટનાઓ રોકવામાં નહિં આવે તો તેના ગંભીર પરીણામો દેશના નાગરિકોને ભોગવવા પડે તો નવાઈ નહિં. મોબલીંચીંગમાં મૃત્યુ પામનાર તબરેઝ અન્સારીની પત્નીને સરકારે યોગ્ય વળતર આપવું જાઇએ. સુપ્રિમ કોર્ટ દ્વારા આવા બનાવો રોકવા કડક કાયદાઓ બનવા જાઇએ અને ઘટનામાં સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી થવી જાઇએ તેવી માંગ દમ દ્વારા ઉઠાવી હતી.