Connect Gujarat
અમદાવાદ 

મુખ્યમંત્રી રૂપાણીએ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં આરતી કરી, નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા ઉપસ્થિત

મુખ્યમંત્રી રૂપાણીએ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં આરતી કરી, નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા ઉપસ્થિત
X

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે 144મી જગન્નાથજીની રથ યાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભકિત ભાવ પૂર્વક આરતી અને દર્શન કર્યા હતા. તેમણે મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને રથયાત્રાની વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અવસરે જણાવ્યું કે, રથયાત્રા એ ધાર્મિકની સાથે સાથે લોકોત્સવ પણ છે. માત્ર અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર રાજ્ય માટે રથયાત્રા અનેરું મહત્વ ધરાવે છે. ભગવાન જગન્નાથ લોકોનાં દેવ છે અને લોકોને સામે ચાલીને મળવા, દર્શન આપવા અષાઢી બીજે રથમાં બિરાજીને નગર યાત્રાએ નીકળે છે એ આપણી પરંપરા રહી છે. લોકો પણ આ યાત્રામાં સાથે મળીને ભક્તિભાવ પૂર્વક જોડાય છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ વખતની રથયાત્રા આપણા માટે થોડી અલગ છે. રાજ્ય સરકારે લોકોની આસ્થા શ્રદ્ઘા ધ્યાને રાખીને કોવિડની પરિસ્થિતીના પગલે કોવિડ સંક્રમણ નિયંત્રણના પ્રોટોકોલ અને ગાઈડલાઈન પ્રમાણે આ રથયાત્રા નિયંત્રિત રીતે યોજવા મંજૂરી આપી છે ત્યારે લોકો પણ સહયોગ આપે તે જરૂરી છે.

નગરજનો ઘરે બેઠા દર્શન કરે તે સમયની માંગ છે. આ માટે રથયાત્રા ના લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તેનો સૌ લાભ લઈ ઘરે બેઠા જ યાત્રા નિહાળે અને ભગવાન ના દર્શન કરે તેવી અપીલ તેમણે કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે સૌ સમાજ વર્ગોના સુખ સમૃદ્ધિ અને વિકાસ થી ગુજરાત અડીખમ રહે વિકાસ માં સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે.

મુખ્યમંત્રી એ ભગવાન જગન્નાથની કૃપાથી સૌ સ્વસ્થ રહે કોરોના મહામારીમાંથી ગુજરાત મુક્ત થાય તેવી પ્રાર્થના કરી છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ હિતેશ બારોટ, અમદાવાદના ધારાસભ્યો અને મહાપાલિકાના પદાધિકારીઓ પણ જોડાયા હતા.

Next Story