સિવિલ હોસ્પિટલ અમદાવાદ તબીબોએ આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના ૫૨૦ દિવસમાં ૬૭ બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનમાં મળેલા ૨૧૦ અંગોથી ૧૮૭ પીડિત જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.
સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમના ૧૦ સભ્યોની દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક મહેનત અને અથાગ પરિશ્રમના પરિણામે ૨૧૦ અંગોના રીટ્રાઇવલમાં અંદાજીત ૨૦૦૦ થી વધુ કલાકોની મહેનતનું આ પરિણામ છે કે આજે ૧૮૭ વ્યક્તિઓનું જીવન પીડામુક્ત કરવામાં સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર્દીને જ્યારે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવે છે ત્યારે દર્દીને આઇ.સી.યુ. થી રીટ્રાઇવલ સેન્ટર સુધી લઈ જઈ અંગોને રીટ્રાઇવલ કરવાની સમગ્ર પ્રક્રિયામાં ૮ થી ૧૦ કલાક જેટલો સમય લાગતો હોય છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં રીટ્રાઇવલ સેન્ટરની શરૂઆત થઇ ત્યારે લગીરેય વિચાર્યું ન હતું કે અંગદાન સેવાયજ્ઞ આટલી ઝડપે વેગવંતો બનશે. આજે સરકાર અને સમાજના સહિયારા પ્રયાસોના પરિણામે જ આ સફળતા મળી છે. આગામી સમયમાં આ સિદ્ધિને વધુ જવલંત બનાવીને વધુમાં વધુ લોકોને નવજીવન આપવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર કટિબદ્ધ છે.અંગદાતા દ્વારા અંગદાનમાં મળ્યા અંગેની વિગત જોઇએ તો અત્યાર સુધીમાં ૧૦૮ કિડની, ૫૭ લીવર, ૭ સ્વાદુપિંડ, ૧૪ હ્યદય, ૬ હાથ અને ૯ ફેફસાનું દાન મળ્યું છે. જેને વર્ષોથી અંગોની ખોડખાંપણ થી પીડિત દર્દીઓનું જીવન બદલ્યું છે.
૬૭માં અંગદાનની વિગત જોઇએ તો મહેસાણા જીલ્લાના ૩૩ વર્ષીય મુકેશભાઇ પરમારને હેમ્રરેજ થતા તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવતા બે કિડનીનું દાન મળ્યું છે.૬૬ માં અંગદાનમાં અમદાવાદ ખેંગારસિંહ રાઠોડને માર્ગ અકસ્માત થતા તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી પરંતુ જ્યારે તેમને રીટ્રાઇવલ માટે સેન્ટરમાં લઈ જવામાં આવ્યા તે સમયે સર્જીકલ કારણોસર અંગોનું રીટ્રાઇવલ થઇ શક્યું નહીં.