આમોદ : પશુઓ પાણી પી રહયાં હતાં, પણ પાણીમાં મંડરાય રહયું હતું મોત
આમોદ તાલુકાના માતર ગામની સીમમાં પાણી પીવા ગયેલાં ત્રણ ઢોરોના વીજ કરંટ લાગવાના કારણે મોત થયાં છે. પાણી ભરેલા ખાડા નજીકથી પસાર થતાં થાંભલા પરથી કરંટ ઉતરતો હોવાના કારણે આ ઘટના બની હતી.
આમોદ તાલુકાના માતર ગામ નજીક સીમમાં બે ગાય અને એક ભેંસનું મોત નિપજ્યું હતું. પશુઓ જયાં પાણી પી રહ્યા હતા ત્યાંથી જ જીઇબી વીજ લાઈન પસાર થાય છે. જેમાંથી કરંટ ઉતરતા ત્રણ પશુઓને કરંટ લાગ્યો હતો અને ત્રણેય ઢોરના મોત થઇ ગયાં હતાં. વીજકંપનની ગંભીર બેદરકારીની વારંવાર બુમો ઉઠી રહી છે અગાઉ પણ આછોદ માં જમીન ઉપર કરંટ ઉતરવાની ઘટના બની હતી તેમ છતાં હજુ સુધી ત્યાં રીપેરીંગ પણ કરવામાં આવ્યું નથી. ઘટનાની જાણ બાદ આમોદ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે તેવામાં જ વીજ કંપનીની બેદરકારી શરૂ થઇ ચુકી છે. ઘટના બાદ પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.