જંબુસરના નવયુગ વિદ્યાલય ખાતે દર મહિનાના છેલ્લા રવિવારે મફત નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક દર્દીઓનું આંખોનું નિદાન કરી મફત ચશ્મા, દવા તથા મોતીયાના દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ (મોગર) ખાતે મફત લઇ જવામાં આવે છે અને ત્યાં નિશુલ્ક ઓપરેશન કરવામાં આવે છે. ઉપરાંત ત્યાં રહેવાની અને જમવાની પણ સગવડ સંસ્થા દ્વારા આપવામાં આવે છે.
આજદિન સુધીમાં ત્રીસ હજારથી વધારે આંખના દર્દીઓએ આ નિદાન કેમ્પનો લાભ લીધો છે અને નવ હજારથી વધારે દર્દીઓના મોતીયાના ઓપરેશન કરીને નેત્ર મણી મુકી આપવામાં આવ્યા છે. તેમાં ઉલ્લેખનીય બાબત એ છે કે એક પણ ઓપરેશ ફેલ નથી થયું કે કોઈ પણ દર્દીની ફરીયાદ હજી સુધી નથી આવી.
આજ રોજ આ કેમ્પની નવયુગ વિદ્યાલયના પ્રમુખ મહેશભાઈ એમ. સોલંકીએ મુલાકાત લીધી હતી તથા શંકરા આઈ હોસ્પિટલના સેવાભાવી તબીબો સાથે પણ મુલાકાત કરી તેઓની સેવાને બીરદાવી હતી.
જન સેવા એ જ પ્રભુ સેવા સૂત્રને જીવનમાં ઉતારનાર સ્વ. મગનભાઈ બી. સોલંકી નવયુગ વિદ્યાલયના આદ્યસ્થાપક છે તે શાળામાં આજે પણ જુદીજુદી સેવાકીય પ્રવૃતિઓ ચાલતી રહે છે. આજ રોજ થયેલ મફત નેત્ર યજ્ઞમાં ખૂબ મોટી સંખ્યામાં જરૂરીયાતમંદ વ્યક્તિઓએ લાભ લીધો હતો.