ભરૂચ: આરોગ્ય વિભાગના કર્મચારીઓની વેકશીનેશનની કામગીરીના બહિષ્કારની ચીમકી, જાણો કેમ?
ભરૂચના આરોગ્ય વિભાગના કર્મચારીઓનો અનોખો વિરોધ નોધાવ્યો હતો. કર્મચારીઓ સફેદ વસ્ત્રો ધારણ કરી આરોગ્ય વિભાગની કચેરી ખાતે પહોચ્યા હતા અને આઉટસોર્સિંગ પ્રથાનું બેસણું કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
રાજ્યમાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે અને આગામી 16 જાન્યુયારીથી વેક્સિનેશનની પ્ર્કૃયા શરૂ થવા જઈ રહી છે એવા સમયમાં આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ એજન્સીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માસ સી.એલ.પર ઉતરી ગયા છે. ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ કર્મચારીઑ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કર્મચારીઓ સફેદ વસ્ત્રો પરિધાન કરી આરોગ્ય વિભાગની કચેરી પર પહોચ્યા હતા અને આઉટ સોર્સિંગ પ્રથાનું બેસણું કરી વિરોધ નોધાવ્યો હતો.
કર્મચારીઓના જણાવ્યા અનુસાર આઉટ સોર્સિંગ એજન્સીઓ દ્વારા કર્મચારીઓને નિયત વેતન કરતાં ઓછું વેતન આપવામાં આવે છે,પી.એફ.,ઇ.એસ.આઈ.સી. અને એરિયર્સ પણ ચૂકવાતું નથી અને 3 મહિનાથી પગાર પણ આપવામાં આવતો નથી. આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતા અધિકારીઓએ માનમાની કરતાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય વિભાગના કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે ત્યારે એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો વેકશીનેશનની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.