અંકલેશ્વર : રેલ્વે વિભાગ દ્વારા સુરવાડી નજીક દબાણ હટાવવાની કામગીરીનો ગ્રામજનોમાં વિરોધ, કલેક્ટર કચેરીએ કરી રજૂઆત

ભરૂચના અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે પશ્ચિમ રેલ્વેની દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Update: 2022-10-01 11:04 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા દબાણ હટાવાની કામગીરીના વિરોધમાં ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ભરૂચના અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે પશ્ચિમ રેલ્વેની દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં માપણીને લઇ રેલ્વેની ટીમ દ્વારા લોકોના મકાનોમાં ઘૂસી જઇ દબાણ પૂર્વે કોઈપણ ગ્રામજનોને નોટિસ કે, મૌખિક જાણ કર્યા વગર કાર્યવાહી કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા 30 વર્ષથી અહીના વિસ્તારમાં વસવાટ કરે છે.

જોકે, રેલ્વે વિભાગ દ્વારા દબાણ પૂર્વે કોઈપણ ગ્રામજનોને જાણ કર્યા વગર દબાણ હટાવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આ યોગ્ય ન ગણાય અને જો રેલ્વે વિભાગ દ્વારા કામગીરી કરવી જ હોય, તો વર્ષોથી રહેતા પરીવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉપરાંત ગ્રામજનોએ જણાવ્યુ હતું કે, રેલ્વે વિભાગ દ્વારા સામે દિવાળીએ દબાણની કાર્યવાહી કરાતા ગ્રામજનો ચિંતામાં મુકાયા છે. જેને લઇ આજરોજ ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી આ કામગીરી અટકાવા માટે રજૂઆત કરી હતી.

Tags:    

Similar News