ભરૂચ : નવલખા મિલની ચાલના 3 બંધ મકાનો ચઢ્યા તસ્કરોના નિશાને, સાઈબાબાના મંદિરમાં પણ કરી ચોરી...
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ કલરવ સ્કૂલ પાસે નવલખા મિલની ચાલના 3 બંધ મકાનો સહિત સાઈબાબાના મંદિરે તસ્કરોએ હાથફેરો કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ કલરવ સ્કૂલ પાસે નવલખા મિલની ચાલના 3 બંધ મકાનો સહિત સાઈબાબાના મંદિરે તસ્કરોએ હાથફેરો કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
એક તરફ ભરૂચ શહેરમાં દિવાળીના તહેવારની ઉજવણીમાં લોકો વ્યસ્ત બન્યા છે. તો બીજી તરફ, તસ્કરો પણ તસ્કરી કરવા સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે, ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ કલરવ સ્કૂલ પાસે નવલખા મિલની ચાલના મકાન માલિકો દિવાળી ટાણે પોતાનું મકાન બંધ કરીને બહારગામ ગયા હતા. તે દરમિયાન બંધ મકાનનો લાભ લઈ તસ્કરોએ 3 મકાનોના દરવાજાના નકુચા તોડ્યા હતા. તસ્કરોએ મકાનમાં પ્રવેશી કબાટોમાં રહેલ હજારોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં, આજુબાજુના મકાનોમાં પણ આગળથી સાંકળ મારીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.
આ સાથે જ નવલખા મિલની ચાલમાં સ્થાપીત સાંઈબાબાના મંદિરમાં લગાવેલા ચાંદીના મુગટની પણ ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા એ' ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસે ચોરી અંગેનો ગુન્હો દાખલ કરી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.