ગાંધીનગર : રાજ્યભરમાં બિસ્માર માર્ગોના સમારકામ માટે મુખ્યમંત્રીએ બેઠક યોજી, ગુણવત્તાયુક્ત કામ કરવા સૂચન કર્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પ્રવર્તમાન ચોમાસાના કારણે માર્ગો-રસ્તાઓને જે અસર પહોંચી છે

Update: 2022-08-30 11:08 GMT

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પ્રવર્તમાન ચોમાસાના કારણે માર્ગો-રસ્તાઓને જે અસર પહોંચી છે, તે રિસરફેસિંગ, રીપેરીંગ અને માર્ગોના નવા કામો દ્વારા લોકોને પડતી હાલાકી સત્વરે દૂર કરી સ્થિતિ પૂર્વવત કરવા સ્પષ્ટ તાકીદ કરી છે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં હાલના ચોમાસાની સ્થિતિને કારણે માર્ગોની મરામત માટે જે જરૂરીયાત ઉભી થઇ છે, તેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. માર્ગ અને મકાન વિભાગના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગના સચિવો અને ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. રાજ્યની 8 મહાનગરપાલિકાના કમિશનર તેમજ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર પોતાના કાર્યક્ષેત્રમાં આવેલા વિસ્તારોમાં રસ્તાઓને થયેલા નુકશાન અને મરામત માટે કરવામાં આવેલી કામગીરી તથા આયોજનનો વિસ્તૃત ચિતાર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થઇ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત માર્ગ બને તથા 3 વર્ષની ડિફેક્ટ લાયેબિલિટી મર્યાદામાં આવતા માર્ગોનું રિસરફેસિંગ, રિપેરિંગ સંબંધિત ઇજારદાર (કોન્ટ્રાક્ટર) દ્વારા સર્વે હાથ ધરાય તે માટે અધિકારી કામગીરી પર સતત જાત નિરીક્ષણ કરે અને ગુણવત્તાયુક્ત કામ થાય તે માટે જરૂરી સૂચન કર્યું હતું.

Tags:    

Similar News