અંકલેશ્વરઃ 3 ગામોમાંથી વીજ ટ્રાન્સફર્મર તોડી 1.87 લાખના કોપર કોઇલની ચોરી
ભરણ ગામેથી 1,49,000 રૂપિયાની તેમજ પાનોલી અને પુનગામ ગામેથી 38,500ના કોપર કોઈલની ચોરી
અંકલેશ્વર તાલુકામાં વધુ 3 ગામોમાંથી વીજ ટ્રાન્સફર્મર તોડી 1.87 લાખની કોપર કોઇલની ચોરી થઈ છે. જેમાં ભરણ ગામેથી 149000 રૂપિયાની તેમજ પાનોલી અને પુનગામ ગામે થી 38500 રૂપિયાનાં કોરપ કોઈલની ચોરી થઈ હતી. બંને બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરમાં દિન પ્રતિદિન ટ્રાન્સફર્મર તોડી કોપર ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે.
અંકલેશ્વર તાલુકાના સુરતની હદને અડીને આવેલા ભરણ ગામેથી ખેતીવિષયક વીજ લાઈન માટે મુકેલા વીજ ટ્રાન્સફર્મર તોડી પાડી અંદરથી કોપર કોઇલની ચોરી કરી તેમજ સ્ટડ તોડી પાડી ઓઇલ ઢોળી તસ્કરો નુકશાન કરી રહ્યા છે. પોલીસ મથકે 1.45 લાખની ચોરી અને નુકશાની ફરિયાદ નોંધાય હતી. આ ઉપરાંત પાનોલી અને પુન ગામ ની સીમ માંથી પર ચાલુ લાઈને વીજ ટ્રાન્સફર્મર તોડી પાડ્યા હતા અને અંદર થી કોપર કોઇલની ચોરી અને સ્ટડ તોડી પાડી ઓઇલ ઢોળી નુકશાન કરી ગયા હતા. બનાવ સંદર્ભે 38500 રૂપિયાની ચોરી અને નુકશાનીની ફરિયાદ વીજ નિગમના વંસત ભગત દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.