પથ્થરમારાનો કોઈ પણ વિડીયો શેર કરતાં પહેલા ચેતજો, અમદાવાદમાં એક આરોપી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
શહેરના શાહઆલમની ઘટનાના નામે લખનઉ વીડિયો શેર કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે અન્ય લોકોને પણ ચેતવણી આપી છે.
ગુરુવારે સાંજે અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં 20 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. તોફાન બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. જે ઉત્તરપ્રદેશના લખનઉનો હતો, પરંતુ તેને અમદાવાદના શાહઆલમ વિસ્તારનો ગણાવીને ફેસબુક પર ચડાવનાર ઉમરખાન પઠાણ નામના ફેસબુક ધરાવનાર શખ્સ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. આ ફેક વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ પોલીસે જણાવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ તપાસ વિના ફેક વીડિયો અથવા ફોટો ફોરવર્ડ કે શેર કરે નહીં. અમે સતત સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છીએ. જે આ ફેક વિડીયો કે ફોટો શેર કરશે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.