ભરૂચ : પોલીસે ચેતવણી આપી હતી કે, નશો કરશો નહિ, પણ કેટલાકે કર્યો નશો, જુઓ પછી શું થયું
કોરોના વાયરસના કહેરના કારણે પોલીસે લોકોને 31મી ડીસેમ્બરની ઉજવણી ઘરોમાં રહીને કરવા તથા નશો નહિ કરવા ચેતવણી આપી હતી. પણ ભરૂચમાં કેટલાક નશે બાજો નશાની હાલતમાં બહાર નીકળતાં પોલીસે તેમને જેલભેગા કરી દીધાં હતાં. જિલ્લામાંથી અત્યાર સુધીમાં 28 નશેબાજો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે….
નવા વર્ષની ઉજવણી માટે ભરુચ જીલ્લામાં અનેરો ઠનગનાટ જોવા મળ્યો હતો ત્યારે નશેબાજોના રંગમાં પોલીસે ભંગ પાડયો હતો.નવા વર્ષને આવકારવા ઠેર ઠેર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસે ત્રાટકી નશેબાજો સામે કાર્યવાહી હાથ ધરી હતી.ભરુચ જીલ્લામાં પોલીસે દહેજ ખાતે દેશી દારૂના 12 અડ્ડા પરથી 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને 42 લીટર દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર શહેર પોલીસે નશાની હાલતમાં ચાર ઇસમોને ઝડ્પી પાડ્યા હતા.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે 4 દેશી દારૂ ના અડ્ડા પર દરોડા પાડી 4 બુટલેગરોની અટકાયત કરી હતી અને 14 લીટર દારૂ કબ્જે કર્યો હતો તો 1 વ્યક્તિ નશાની હાલત માં ઝડપાયો હતો.
જંબુસર પોલીસે દેશી દારૂના 3 અડ્ડા પર દરોડા પાડી 3 આરોપીઓ સહિત 6 લીટર દારૂ ઝડપ્યો હતો.પાલેજ પોલીસે 2 દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડી 2 આરોપી સહિત 12 લીટર દારૂ ઝડપ્યો હતો. નેત્રંગ પોલીસે 2 દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડી 7 લીટર દારૂ સાથે 2 બુટલેગર ઝડપી પાડ્યા હતા તેમજ 3 ઈસમોની નશાની હાલતમાં ધરપકડ કરી હતી. ઝઘડિયા પોલીસે એક આરોપીની નશાની હાલતમાં ધરપકડ કરી હતી. આમ ભરૂચ જિલ્લામાંથી વિવિધ સ્થળોએથી 28 જેટલા નશેબાજોને ઝડપી પાડવામાં આવ્યાં છે.