ભરૂચ: શ્રીજી મંદિર નજીક માર્ગ પર પડ્યો ભૂવો, પછી શું થયું જુઓ
ભરૂચના શ્રીજી મંદિર નજીક માર્ગ પર ભૂવો પડતાં દોડધામ મચી જવા પામી હતી. મસમોટા ભૂવામાં એક ટ્રેક્ટર પણ ખાબક્યું હતું જેના કારણે વાહન વ્યવહારને અસર પહોચી હતી.
વિકસતા જતાં ભરૂચમાં ચોમાસા બાદ માર્ગોની બિસ્માર હાલત થઈ છે અને તંત્ર દ્વારા દિવાળી બાદ માર્ગોનું સમારકામ શરૂ પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આવેલ શ્રીજી મંદિર નજીક તંત્ર દ્વારા આર.સી.સી.રોડ બનાવવામાં આવ્યો હતો. આ માર્ગ પર આજે સવારના સમયે મોટો ભૂવો પડ્યો હતો. માર્ગનો એક ભાગ જાણે આખો બેસી ગયો હતો.
દરમ્યાન અહીથી પસાર થતું ટ્રેક્ટર ભુવામાં ખાબક્યું હતું.મુખ્ય માર્ગ પર મસમોટો ભૂવો પડતાં વાહન વ્યવહારને અસર પહોચી હતી. સ્થાનિકોએ ભુવાની આસપાસ બેરીકેટ મૂકી માર્ગ બંધ કરી દેવાની ફરજ પડી હતી. માર્ગ પર મોટો ભૂવો પડતાં કાર્ગનું નિર્માણ કરનાર કોન્ટ્રાકટરની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે તંત્ર આ માર્ગનું વહેલી તકે સમારકામ કરાવે એ જરૂરી છે.