ભરૂચ : ટંકારીયા ગામમાં તસ્કરોનો તરખાટ, પોલીસ પેટ્રોલિંગના ધજાગરા
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ ખાતે મોટાભાગના એનઆઇઆર પરિવારો વસવાટ કરી રહયાં છે ત્યારે ગામમાં ટુંકા ગાળામાં 10 જેટલા ચોરીના બનાવો બનતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ સાથે એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે….
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ ખાતે 8 થી 10 જેટલી ચોરીઓના બનાવો બન્યાં છે. જાણે કે તસ્કરોને પોલીસનો ખૌફ જ ન રહ્યો હોય તેમ લાગી રહયું છે. ચોરીની કેટલીક ઘટનાઓ તો સીસીટીવીમાં કેદ થવા પામી છતાં તસ્કરો પોલીસ પકડથી દુર રહેતા લોકોમાં પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયાં છે. સોમવારના રોજ ટંકારીયા ગામનાં સ્થાનિકો તેમજ સામાજીક અગ્રણી અબ્દુલ કામઠી સહિતના લોકોએ એ.એસ.પી ને એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ગામમાં બનતી ચોરીઓની ઘટનાઓને અટકાવવા પોલીસ પેટ્રોલીંગ સધન બનાવવા તેમજ ચોરીઓને અંજામ આપનાર તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા અંગે રજુઆત કરાઇ હતી.