ભરૂચ : પુરના પાણી ઓસરતા ઝઘડીયા તાલુકાના સ્થાળાતંર કરેલા લોકોની ઘરવાપસી
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં ભાલોદ ગામે નર્મદા નદીમાં આવેલા પુરના પાણી ઓસરતા વહીવટી તંત્ર દ્વારા સ્થાળાતંર કરાયેલા લોકો પરત પોતાના ઘર તરફ વળ્યા હતા.
સરદાર સરોવર ડેમમાંથી છેલ્લા 5 દિવસથી સતત 9થી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. જેના કારણે ભરૂચ જિલ્લાના નદી કાંઠે આવેલા અનેક ગામોમાં નર્મદા નદીના પુરના પાણી ફરી વળ્યા હતા. જેમાં ઝઘડીયા તાલુકાના કેટલાક ગામોના 1500થી વઘુ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
જોકે, હવે નર્મદા નદીના કિનારે વસતા લોકો માટે રાહતના સમાચાર પણ સામે આવ્યાં છે. સરદાર સરોવર ડેમમાંથી છોડાતું પાણી ઓછું કરવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા નદીની સપાટીમાં ઘટાડો થતા કાઠા વિસ્તારમાંથી પુરના પાણી ઓરસવાના ચાલુ થયા હતા, ત્યારે ભાલોદ, ઓરપટાર, ટોથીદ્રા અને જુની તરસાલી ગામેથી સ્થળાતંર થયેલા લોકો પોતાની ઘરવકરી સામાન તેમજ પશુઓને લઈ પોતાના ઘર તરફ વળ્યા હતા.