Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કાપોદ્રા ગામે અંગત અદાવતે ચપ્પુના ઘા મારી એક યુવકની હત્યા...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં અંગત અદાવતની રીસ રાખી ગામના જ યુવાનોએ એક વ્યક્તિની ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

અંકલેશ્વર : કાપોદ્રા ગામે અંગત અદાવતે ચપ્પુના ઘા મારી એક યુવકની હત્યા...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં અંગત અદાવતની રીસ રાખી ગામના જ યુવાનોએ એક વ્યક્તિની ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના મૂળ રવિદ્રા ગામનો રહેવાસી અને કાપોદ્રા ગામે ભાડાના મકાનમાં રહી નોકરી કરતો યુવાન સંજય શાંતીલાલ વસવા નોકરી પરથી આવી ઘરે જમીને બેઠો હતો, ત્યારે અચાનક ગામના જ 7 જેટલા લોકોએ ભેગા મળી સંજયના ઘરે ધસી આવી સંજય સાથે 1 વર્ષ પૂર્વે થયેલ યુવતી બાબતે ઝઘડાની રીસ રાખી ફરી બોલાચાલી કરી હતી. જોકે, આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સાતેય લોકોએ ભેગા મળી ઉશ્કેરાઇ જઈને સંજય કંઇ સમજે તે પહેલા જ તેના માથામાં ઇંટ મારી હતી. આ સાથે જ ચપ્પુ વડે ઉપરા છાપરી ઘા ઝિંકી દીધા હતા અને ત્યારબાદ સંજયને ઘરની બહાર ફેંકી સંજયના પરિવારજનોને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં સંજયને ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે સંજયને મૃત જાહેર કર્યો હતો, ત્યારે હાલ તો સમગ્ર મામલે અંકલેશ્વર રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story